આજથી ગુજરાતમાં Unlock-3 લાગુ : રાત્રિ કરફ્યુમાંથી મુક્તિ

અમદાવાદઃ આજે પહેલી ઓગસ્ટ, 2020થી રાજ્યમાં અનલોક-૩ લાગુ થઈ ગયું છે. અનલોક-3 સાથે જ નવા નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે. આજથી રાત્રિ કરફ્યુમાંથી લોકોને મુક્તિ મળી છે. તો અમૂલ પાર્લર પર આજથી બે રૂપિયાની નજીવી કિંમતે માસ્ક મળી રહેશે. એની સાથે જ માસ્ક પહેરવા અંગે લોકોમાં અવેરનેસ પણ જોવા મળી. સસ્તા ભાવે માસ્ક મળતા લોકો જથ્થામાં માસ્કની ખરીદી કરી રહ્યા છે. તો લોકો ઘર-પરિવાર અને ઓફિસ ફેક્ટરીના સ્ટાફ માટે સર્જિકલ માસ્કની ખરીદી કરી રહ્યા છે.

રાત્રિ કરફયુમાંથી સંપૂર્ણપણે મુક્તિ

ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઇન્સના અનુસંધાને ગુજરાત માટે અનલોક-3માં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્યમાં પહેલી ઓગસ્ટથી રાત્રિ કરફ્યુમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

હોટેલ-રેસ્ટોરાં રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ

આજથી રાજ્યમાં દુકાનો 8 વાગ્યા સુધી તેમ જ હોટેલ-રેસ્ટોરાં રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને SOP મુજબ રાજ્યમાં જિમ અને યોગ સેન્ટર પાંચમી ઓગસ્ટથી ખોલી શકાશે. આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઇડ લાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

હોટેલ-રેસ્ટોરાંનો સમય વધારીને 12 વાગ્યા સુધીનો કરવા માગ

જોકે હોટેલ-રેસ્ટોરાંનો સમય વધારીને 10ની જગ્યાએ 11થી 12 વાગ્યા સુધીનો કરવાની હોટેલ-રેસ્ટોરાંના માલિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રેસ્ટોરાંના એક માલિકે જણાવ્યું હતું કે ચાર મહિનાથી કોઈ ધંધો નથી. માત્ર પાર્સલ પર ધંધો ચાલે છે. 11થી 12 વાગ્યા સુધી હોટલ-રેસ્ટોરાં ખુલ્લી રાખવા દેવામાં આવે તેવી અમારી માગ છે.