ગુજરાતના આ નેતાઓ જશે મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં

ગાંધીનગરઃ ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અને કોંગ્રેસ એમ બંન્ને પક્ષોના નેતાઓ મહારાષ્ટ્રમાં ચૂંટણી સભાઓ અને ચૂંટણી પ્રચાર કરશે. મહારાષ્ટ્રમાં પણ મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે ત્યારે હવે ગુજરાતના નેતાઓ પોતાની પાર્ટીનો પ્રચાર કરવા મહારાષ્ટ્રમાં જશે.  
ભાજપમાંથી પ્રદેશ ઉપાધ્યક્ષ ગોર્ધન ઝડફિયા, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી, અને ઋષીકેશ પટેલ સહિતના નેતાઓ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટે માટે જશે. આ નેતાઓને મહારાષ્ટ્રની કુલ 60 વિધાનસભાની જવાબદારીઓ સોંપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. આ નેતાઓ તેમને સોંપવામાં આવેલી વિધાનસભા ચૂંટણીની સભાઓથી લઈને ચૂંટણી પ્રચારની તમામ પ્રકારની વ્યવસ્થાઓ સંભાળશે. આ સીવાય કચ્છ, વડોદરા, અને સુરત જિલ્લા અને શહેર ભાજપના કાર્યકર્તાઓને પણ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે મોકલવામાં આવશે.

કોંગ્રેસમાંથી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ કચ્છ અને દક્ષિણ ગુજરાતના કોંગ્રેસનાં નેતાઓ મહારાષ્ટ્ર ચૂંટણીમાં પ્રચાર માટે જશે. ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ પણ મહારાષ્ટ્રમાં ચૂંટણી સભાઓ ગજવશે.