ગુજરાતમાં માવઠાનું જોર ઘટશે! જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી માવઠાનું સંકટ વર્તાય રહ્યું છે. કમોસમી વરસાદ અને ભાર પવનને લઈ ખેડૂતોના પાકમાં પણ ઘણું નુકસાન થયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વખતે ભર ઉનાળે ઠેર ઠેર વરસાદી માહોલ સર્જાયો હતો. હવામાન વિભાગ લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર ઘટતા માવઠાનું સંકટ થોડું હડવું થયું છે. મંગળવારે (13 મે) બોટાદના બરવાળા, અમરેલીના ખાંભા, છોટા ઉદેપુરના ક્વાંટ, તાપીના નિઝર અને વલસાડના કપરાડામાં હળવા વરસાદી ઝાપટા નોંધાયા હતા. જોકે, હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ (14-15 મે) રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 14 મેના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર અને પોરબંદરમાં હળવા ઝાપટાં પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, પરંતુ મોટા વરસાદની આગાહી નથી.

મંગળવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.1°C નોંધાયું, જે સામાન્ય કરતાં 3.5°C ઓછું હતું. જોકે, 14 મેથી તાપમાનમાં વધારો થઈ શકે છે, અને ગરમીનો પારો 40°Cને પાર જઈ શકે છે. હવામાન નિષ્ણાતો અનુસાર, 14 થી 19 મે દરમિયાન અમદાવાદનું તાપમાન 41°C થી 42°C વચ્ચે રહેવાની શક્યતા છે. આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ ત્યારબાદ ગરમીમાં વધારો થશે.