અમદાવાદ– મે મહિનાનો ઊનાળો આકરે પાણીએ છે અને સૌ જીવસૃષ્ટિ ગરમીમાં શેકાવાનો અનુભવ કરી રહી છે. ત્યારે ચોમાસુ ક્યારે વરસાદ લઇને આવે તેની રાહ જોવાનું ખેડૂતોએ શરુ કરી દીધું છે. ગરમીથી પરેશાનીમાં હાલના દિવસોમાં જોકે રાહત મળે તેવી સંભાવના નથી. આ વરતારો હવામાન વિભાગનો છે.હાલ 34-44 ડીગ્રી તાપમાન ચાલી રહ્યું છે અને હજુ પણ ત્રણચાર દિવસ ગરમીમાં વધારો થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યાં પ્રમાણે ગુજરાતમાં 42થી 44 ડીગ્રી તાપમાન રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત , તેમ જ સૌરાષ્ટ્રમાં પણ તાપમાનમાં ઘટાડો થવાના અણસાર નથી.
કુદરતે તપશે ગુજરાતનું ફરમાન કાઢ્યું હોય તેમ ગુજરાતમાં વરસાદ પણ લગભગ 15 જૂન પછી જ પધરામણી કરશે. હાલમાં જોવા મળેલ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર સીસ્ટમની ભારતમાં કોઈ અસર થશે નહીં. આ વાવાઝોડું ભારતના કિનારે અથડાવવાની સંભાવના એકદમ નહીંવત છે, જોકે સાવધાનીના ભાગરુપે માછીમારોને દક્ષિણ પશ્ચિમ સમુદ્ર બાજુ દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે.