રાજકોટના આ ઉદ્યોગપતિએ બનાવ્યા વેન્ટિલેટર

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશનના કેસો પણ વધી રહ્યા છે. અચાનક આવડી મોટી આફત આવી પડતા રાજ્યમાં વેન્ટિલેટરની અછતના કારણે કોઈ દર્દીને જીવ ગુમાવવાનો વારો ન આવે તે અંગે રાજ્ય સરકાર સતર્ક છે. વિશ્વગુરુ ગણાતા અમેરિકા જેવા દેશે પણ કપરા સમયમાં રશિયા પાસેથી વેન્ટિલેટર્સ મંગાવવા પડ્યા છે, ત્યારે ગુજરાતમાં પાણી પહેલા જ પાળ બાંધવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.  
રાજકોટના એક ઉદ્યોગકાર પરાક્રમસિંહ જાડજાએ વેન્ટીલેટર બનાવ્યું છે. જેને કારણે ગુજરાતમાં વેન્ટિલેટરની અછત નહીં સર્જાય. આ વેન્ટિલેટરને ગુજરાતી નામ ધમણ-1 આપવામાં આવ્યું છે. રાજકોટની જાણીતી કંપની જ્યોતિ સીએનસી દ્વારા આ વેન્ટિલેટર તૈયાર કરવામાં આવ્યું છે.
આ વેન્ટીલેટર બનાવવાના પ્રોજેક્ટમાં જોડાયેલા કંપનીના માલિક પરાક્રમસિંહે જણાવ્યું કે, 10 દિવસની અંદર અમે આ પ્રોજેક્ટને પૂર્ણ કર્યો છે. 150 લોકોએ દિવસ રાત કામ કર્યું છે. ભારતની 26 કંપનીઓએ અમને પાર્ટ્સ આપ્યા છે. દમણ 1 પ્રેસર કંટ્રોલ વેન્ટિલેટર છે. અને તે ખાસ કોરોનાના દર્દીઓ માટે જ બનાવવામાં આવ્યું છે. આગામી 10 દિવસમાં દિવસના 100 વેન્ટિલેટર બનશે. હાલ ફક્ત 3 જ વેન્ટિલેટર બન્યા છે. 1 લાખથી પણ ઓછા ખર્ચમાં આ વેન્ટિલેટર બન્યું છે. સાડા ત્રણ લાખની કિંમતનું વેન્ટિલેટર 1 લાખ રૂપિયાની અંદર ગુજરાતમાં બની રહ્યું છે. અત્યારે જરૂરિયાતને પૂર્ણ કરવા માટે વેન્ટિલેટર બનાવવામાં આવ્યું છે. પહેલાં 1 હજાર વેન્ટિલેટર રાજ્ય સરકારને દાન કરવામાં આવશે. આ વેન્ટિલેટર ગુજરાત અન્ય રાજ્યોને પણ મોકલવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેઓએ મોટી જાહેરાત કરતાં કહું કે, રાજકોટનાં એક ઉદ્યોગકારે વેન્ટીલેટર બનાવ્યું છે. જેને કારણે ગુજરાતમાં વેન્ટિલેટરની અછત નહીં સર્જાય. નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતાં જણાવ્યું કે, એન-95 માસ્કની વિશ્વમાં અછત છે. તો વેન્ટિલેટરની અછતને લઈને પણ વિશ્વમાં ચિંતા છે. તેવામાં રાજકોટના એક ઉદ્યોગકારને વેન્ટિલેટર બનાવવામાં સફળતા મળી છે. અને આ વેન્ટિલેટર દર્દીઓ પર સફળ રીતે કામ કરી રહ્યું છે. સાથે જ સીએમ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં વેન્ટિલેટરની અછત નહીં રહે, અને જો પ્રોડક્શન વધુ હશે તો ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ કોરોના દર્દીઓની સારવાર માટે વેન્ટીલેટર મોકલશે. આ વેન્ટીલેટર મેડ ઈન ગુજરાત અને મેડ ઈન રાજકોટ બન્યું છે. એટલે તેનું નામ ‘ધમણ-1’ રાખવામાં આવ્યું છે. રાજકોટમાં નાસાના પાર્ટ્સ પણ બને છે તેવું સીએમ રૂપાણીએ જણાવ્યું છે.