અદાણી ફાઉન્ડેશનને ‘વૃક્ષમિત્રનો’ એવોર્ડ એનાયત થયો

અમદાવાદઃ નર્મદા જિલ્લામાં ૭૨મા વન મહોત્સવમાં બાગાયતી અને સામાજિક વનીકરણની કામગીરીમાં શ્રેષ્ઠ યોગદાન માટે અદાણી ફાઉન્ડેશન અને સુપોષણ સંગિનીની ટીમને ‘વૃક્ષમિત્ર’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્યનાં મહિલા અને બાળવિકાસ પંચનાં અધ્યક્ષ લીલાબહેન આંકોલિયાને હસ્તે જિલ્લા વનીકરણ સમિતિના યજમાનપદે મહાનુભાવોની હાજરીમાં દોદ તાલુકાના જીતનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

અદાણી ફાઉન્ડેશન ૨૦૧૯ના વર્ષથી નર્મદા જિલ્લામાં કુપોષણ નિર્મૂલન સહિત સામાજિક કલ્યાણનાં કાર્યો કરી રહ્યું છે.આ કાર્યોનો લાભ ઇચ્છિત લાભાર્થીઓ સુધી પહોંચે એ માટે ફાઉન્ડેશને જિલ્લાનાં વિવિધ ગામોની સ્થાનિક ૧૯૫ જેટલી મહિલાઓને પસંદ કરી અને તેમને તાલીમ આપીને સુપોષણ સંગિની તરીકે તૈયાર કરી છે. નર્મદા જિલ્લાનાં દરેક ગામમાં હાજર સંગિની બહેન-માતાઓ અને કિશોરીઓને પોષણ અને આરોગ્ય વિષે માર્ગદર્શન આપે છે. તેઓ 0-5 વર્ષનાં બાળકોમાં કુપોષણ નિવારણ માટે આંગણવાડી અને પ્રજાના સહકારથી કામ કરી રહ્યા છે

વન મહોત્સવમાં સુપોષણ સંગિનીઓએ બાગાયતી વૃક્ષો અને સામાજિક વનીકરણની સરકારની યોજના હેઠળ લાભાર્થીઓને પસંદ કરવાથી લઈ વૃક્ષારોપણને અનુરૂપ જમીન તથા વાવવામાં આવેલા છોડને પૂરતું પાણી ઉપલબ્ધ બને તેવી પાયાની સંભાળ લેવામાં મહત્વની ભૂમિકા ભજવીને ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.

આ વિસ્તારમાં જનજાગૃતિનું કાર્ય પણ સંભાળતી આ સંગિનીઓએ સરગવાનાં પાન અને સિંગનાં રસોઈમાં ઉપયોગનું ગામેગામ નિદર્શન પણ કર્યું હતું. અદાણી ફાઉન્ડેશને આ તમામ સંગિનીઓને આ એવોર્ડને એક પ્રેરક બળ તરીકે સ્વીકારી નર્મદા જિલ્લામાં સમાજ-કલ્યાણનાં કામોમાં વધુ જોમ-જુસ્સાથી યોગદાન આપવા અનુરોધ કરી અભિનંદન આપ્યાં છે.

ગુજરાતની અન્ય ત્રણ બિનસરકારી સંસ્થાઓની પણ ‘વૃક્ષમિત્ર’ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.