કોરોનાના 25,166 વધુ નવા કેસ, 437નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસોમાં 23.5 ટકાનો ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 25,166 નવા કેસ સામે આવ્યા છે, જે ગઈ કાલની તુલનાએ નવ ટકા ઓછા છે. છેલ્લા 24 કલાકમાં 437 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,22,50,679 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,32,079 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,14,48,754 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 36,830 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,69,846એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.51 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 15,63,985 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 49.15 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 55.47 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 55,47,30,609 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 88,13,919 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.