‘બેલ બોટમ’ને પ્રોત્સાહક પ્રતિસાદઃ એડવાન્સ બુકિંગ ફુલ

મુંબઈઃ અક્ષયકુમારની આવનારી ફિલ્મ ‘બેલ બોટમ’ની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. આ ફિલ્મ 19 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થવાની છે. જોકે મહારાષ્ટ્રમાં થિયેટરો ખોલવાની મંજૂરી નથી મળી, તેમ થતાં ભારતના બાકીનાં મોટાં શહેરોમાં કેટલાક નીતિનિયમો અંતર્ગત થિયેટરો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

એક અહેવાલ મુજબ દિલ્હી, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ અને અમદાવાદ જેવાં શહેરોમાં આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ ફુલ થઈ ચૂક્યું છે. હજી મોટા ભાગનાં શહેરોમાં થિયેટરોને માત્ર 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આવામાં ફિલ્મને રિલીઝ કરવી એ ખોટમાં જવાનું જોખમ છે. એ વિશે અક્ષયકુમારે કહ્યું હતું કે એ એક પડકારજનક જોખમ છે, પણ જો જિંદગીમાં જોખમ નહીં લીધું તો તમે શું કર્યું? એટલે એ ફિલ્મને રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જોકે મહારાષ્ટ્રમાં હજી પણ થિયેટરોને બંધ રહેવા પર અક્ષયકુમારે કહ્યું હતું કે આ એક જુગાર છે અને કોઈકે ને કોઈકે તો એ રમવો પડશે. એમે આગળ વધવા ડગ માંડ્યાં છે અને મને વિશ્વાસ છે કે અમે એમાં સફળ થઈશું.

અક્ષયકુમારની ‘બેલ બોટમ’માં વાણી કપૂર, લારા દત્તા અને હુમા કુરેશી મુખ્ય ભૂમિકામાં છે. એ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે અને એનું ટ્રેલર લોકોએ ઘણું પસંદ કર્યું હતું.