વડોદરામાં વધતા રોગચાળાને લઈ તંત્ર એક્શનમાં..

રાજ્યમં મેઘરાજાએ જામાવટ લીધી છે. ત્યારે વરસાદ સાથે રાજ્યમાં રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે. વધતા રોગચાળાને ધ્યાને રાખી વડોદરાના વિવિધ વિસ્તારમાં બનાવાતી પાણીપુરીના યુનિટો પર પાલિકા તંત્રની આરોગ્ય ટીમ દ્વારા આજે સવારથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં દુષિત જણાયેલા એક હજાર લિટર જેટલા ચટાકેદાર પાણીપુરીના પાણીનો નાશ કરાયો હતો.

વડોદરા સહિત રાજ્યમાં હલા પાણી જન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. જ્યારે વડોદરામાં રોગચાળો વધતો અટકાવવા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પાલિકા તંત્રની આરોગ્ય ટીમ દ્વારા ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દુષિત કે અખાદ્ય પાણી વરતાતા પાણીનો નાશ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાણીપુરીના મસાલામાં વપરાતા બટાકા બગડેલા અને ફુગાયેલા ચણા કેટલાય ખુમચાવાળા વાપરતા હોવાની ફરિયાદો તંત્રના આરોગ્ય વિભાગને મળી હતી. છેલ્લા કેટલાય દિવસથી પાણીપુરીના ખુમચાવાળાના મસાલાનું ચેકિંગ આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરાયું હતું અને અનેક જગ્યાએથી બગડેલા બટાકા અને ફૂગવાળા ચણાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

આજે વહેલી સવારથી શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીપુરીના યુનિટો પર પણ આરોગ્યની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન લગભગ દૂષિત એક હજાર લિટર જેટલા ચટાકેદાર પાણીનો નાશ આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો.