સ્પેરો ડે :અનોખો ચકલી પ્રેમ…

અમદાવાદઃ વધતી જતી વસ્તી, શહેરીકરણ, આધુનિકરણને કારણે ચકલી જેવા ધર સુધી પહોંચતા, મનુષ્યના ઘરમાં જ પોતાનો માળો બનાવતા પક્ષીઓ પર માઠી અસર પડી છે. થોડા સમય પહેલાં એક તબક્કો એવો પણ આવ્યો કે જાણે ઘર સુધી પહોંચી ચીં..ચીં કરતી ઉડાઉડ કરતી ચકલીઓ ઓછી થઈ  ગઈ છે.  પશુ પંખીઓના પ્રેમી માણસો અને સજાગતાને કારણે ફરી એકવાર ઘર ચકલીની સાથે અન્ય રંગબેરંગી ચકલી ઓની સંખ્યામાં વધારો થયો છે. જે લોકોના કારણે પશુ પંખીઓ પાણી, ચણ અને સારવારની સુવિધાઓ મળે છે, એવા  જીવદયા પ્રેમીઓ અસંખ્ય છે. એમાંના એક છે. હાથીજણ વિસ્તારના કિન્નરી ભટ્ટ.

20 માર્ચ એટલે વર્લ્ડ સ્પેરો ડે. અમદાવાદના હાથીજણમાં રહેતા સ્પેરો કેર ટેકર કિન્નરીબેન ભટ્ટ. મુંગા જીવ અને ખાસ ચકલી સાથે અતૂટ સંબંધ ધરાવે છે. અબોલ પક્ષી સાથેનો સંબંધ વધારે ત્યારે મજબૂત થયો જ્યારે એક ચકલીનું અગમ્ય કારણસર મોત થયું,  તેના બચ્ચા રઝળી પડ્યા.  કિન્નરીબહેને ચકલીના બચ્ચાંને જીવાડવાનું બીડું ઝડપ્યું. મોઢામાં પાણી પી અને સીધું જ મોઢામાંથી બચ્ચા ની ચાંચમાં પીવડાવવાનુ શરૂ કરવામાં આવ્યું. આ સાથે ભાતનો દાણો પણ પોતે ચાવી અને સિધુ બચ્ચાને ખવડાતા. આ રીતે પણ જ્યાં સુધી ચકલીનું બચ્ચું ઊડતું થયું ત્યાં સુધી સેવા આપી. ત્યારબાદ એમની પાસેથી બચ્ચુ માયા થઇ જતાં ખસતું નહોતું.


તેમના આ મકાનમાં લગભગ ૨૦ જેટલા ચકલીઓના માળા છે. નિયમિત ચકલીના બાજરી અને ઝીણી કણકી ભેગા કરી અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવે છે. આ સાથે ચણાની બાજુમાં જ પાણી ભરીને રાખવામાં આવે છે. ચોમાસુ તેમજ ઠંડીની સિઝનમાં માળાની ઉપર રહેલાને પ્લાસ્ટિકથી ઢાંકી દેવામાં આવે છે, જેથી ઠંડી ના લાગે ચોમાસાના પાણીથી ભીંજાય નહીં. ઉનાળાની બળબળતી બપોરે પણ તેમના ઘરમાં પંખો ચાલુ કરવામાં નથી આવતો. કારણકે ચકલીઓ એક દરવાજાથી બીજા દરવાજા સુધી ઊડાઊડ કરતી હોય, ત્યારે તેમને ઇજા ના થાય,  સાવચેતીના ભાગરૂપે તેઓ પંખા પણ બંધ રાખી  દિવસ પસાર કરતા હોય છે. આમ..  કિન્નરીબેન નો ચકલી પ્રેમ અનેરો છે..!

(પ્રજ્ઞેશ વ્યાસ)