દિવાળી બાદ સ્કૂલો ખૂલવાની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં દિવાળી પછી સ્કૂલો ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાની રાજ્ય સરકારની તૈયારી છે. આ માટે વાલીઓને વિકલ્પ આપવામાં આવશે કે તે પોતાના બાળકને સ્કૂલો મોકલવા માગે છે કે ઓનલાઇન જ ભણાવવા માગે છે.

જોકે સ્કૂલો ખોલ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. માત્ર 50 ટકા હાજરી સાથે જ સ્કૂલો ચાલશે. એટલે કે વિદ્યાર્થીઓને વારાફરતી બોલાવવામાં આવશે. હાલમાં જ રાજ્ય શિક્ષણ વિભાગના ટોચના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ વચ્ચે સ્કૂલો શરૂ કરવા બાબતે એક બેઠક મળી હતી. જેમાં ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો.

ધોરણ 6થી 12 ધોરણના અભ્યાસ શરૂ થવાની શક્યતા

શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં ધોરણ 6થી લઈને 12 સુધીની સ્કૂલો શરૂ કરશે, તેવું સૂત્રોએ જણાવ્યું છે. જોકે ધોરણ.૧થી ૫ના વર્ગો જ્યાં સુધી કોરોનાની સ્થિતિ સાવ થાળે પડી ન જાય ત્યાં સુધી શરૂ કરવામાં નહીં આવે.

સ્કૂલો શરૂ કરવાની સાથે-સાથે આ દિશા-નિર્દેશોનું પાલન કરવાનું રહેશે

  • સ્કૂલમાં સ્વચ્છતા અને સેનિટેશનની વ્યવસ્થા ફરજિયાત
  • બાળકની બેઠક વ્યવ્થા વચ્ચે ૬ ફુટનું અંતર જાળવવું
  • સ્કૂલના એન્ટ્રી અને એક્ઝિટ વખતે વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરવું.
  • સંચાલકોએ જુદા-જુદા વર્ગના વિદ્યાર્થીઓને અલગ-અલગ સમયે બોલાવવાના રહેશે
  • હાજરી માટે દરેક વર્ગનું જુદું સાપ્તાહિક કેલેન્ડર.
  • વિદ્યાર્થીને સ્કૂલમાં ફરજિયાત હાજર રહેવાનો આગ્રહ કરી શકાશે નહીં
  • મોટી સંખ્યામાં વિદ્યાર્થી હોય તેવી શાળાઓએ ઓછા સમયની બે શિફ્ટ કરવાની રહેશે
  • સ્કૂલોએ શિક્ષણનો સમય પણ ૫હેલાં કરતાં ઘટાડવાનો રહેશે.
  • સ્કૂલમાં કોઈ સમારંભ, મેળાવડા કે બેઠકો કરવી નહીં.
  • વાલીઓ સાથેની બેઠક પણ ઓનલાઇન જ કરવાની રહેશે.
  • સ્કૂલમાં કોઈ વિદ્યાર્થીને કે કર્મચારીને કોરોના પોઝિટિવ આવે તો ગાઇડલાઇનના તમામ નિયમોનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.