ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા સશક્તિકરણ, સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો–બેટી પઢાવો, ગરીબ બાળકોના શિક્ષણ સહાય, વૃક્ષારોપણ, યુવા સશક્તિકરણ તથા ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રચાર-પ્રસાર જેવા અનેક સામાજિક અને સાંસ્કૃતિક કાર્યો સતત કરવામાં આવી રહ્યા છે. આ જ સેવાભાવી અને સંસ્કૃતિપ્રેમી અભિગમને આગળ વધારતા, ધ્રુવ પર્વ: ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલની સતત સાતમી વર્ષની ભવ્ય સફળતા બાદ, શબ્દ અને સુરની સાધનાને કેન્દ્રમાં રાખીને સાતમા ‘ઉદગમ શબ્દ સુરોત્સવ’નું આયોજન 20 ડિસેમ્બર 2025ના રોજ ગાંધીનગરના સેક્ટર-12 સ્થિત આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને ગુજરાત સાહિત્ય નાટક અકાદમીનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો.

કાર્યક્રમની શરૂઆત તમામ મહાનુભાવોના દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી. ત્યારબાદ ઉદગમના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીએ ઉદગમ દ્વારા હાથ ધરવામાં આવતા સામાજિક કાર્યો અને ભારતીય શાસ્ત્રીય સંગીતના સંવર્ધન માટેના પ્રયત્નોની વિગતવાર માહિતી આપી હતી. મુખ્ય મહેમાન ગોસ્વામી 105 શ્રી રસિકપ્રીતમ લાલજી મહોદયએ પોતાના આશીર્વચનમાં ઉદગમના શાસ્ત્રીય સંગીત સંવર્ધન માટેના પ્રયાસોની સરાહના કરી અને પૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. અતિથિ વિશેષ તરીકે ગાંધીનગર મહાનગર પાલિકાના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ હેમાબેન ભટ્ટે ઉદગમના સામાજિક તથા સાંસ્કૃતિક કાર્યોમાં સતતતા જાળવી રાખવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

સંગીતસભામાં ઉદેપુરથી પધારેલા મેવાતી ઘરાનાના પ્રતિષ્ઠિત ગાયક સમર્થ જાનવેએ પોતાની પ્રસ્તુતિથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મેવાતી ઘરાનાની પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરીને તેમણે રાજ રાગ શ્રી, અડાણા, ચારુકેશી, વસંત મુખારી, કિરવાણી, હેમાવતી અને ભૈરવી જેવા વિવિધ રાગોમાં ખ્યાલ, બંદિશ, કબીર ભજન, મરાઠી અભંગ અને ઠુમરીની ભાવસભર રજૂઆત કરી હતી. દરેક રચનામાં શબ્દ અને સુરની ઊંડાણપૂર્વકની સાધનાએ શ્રોતાઓને આત્મિક આનંદનો અનુભવ કરાવ્યો હતો. અંતે રાગ ભૈરવીમાં રજૂ કરાયેલા ભજન સાથે કાર્યક્રમનું ભાવસભર સમાપન થયું હતું.

તેમની સાથે તબલા પર પ્રવીણ શિંદે, હાર્મોનિયમ પર દીપેશ સુથાર તથા ભુવને સંગત આપી હતી. સમગ્ર પ્રસ્તુતિ દરમિયાન રસિક શ્રોતાઓ તાળીઓના ગડગડાટ સાથે પ્રતિભાવ આપતા રહ્યા અને અંતે સ્ટેન્ડિંગ ઓવેશન દ્વારા કલાકારોને બિરદાવ્યા હતા.

કાર્યક્રમના અંતે ડો. મયુર જોષીએ તમામ મહેમાનો, કલાકારો, શ્રોતાઓ અને સહયોગીઓને આભાર વ્યક્ત કર્યો હતો. ઉદગમ શબ્દ સુરોત્સવમાં પારૂલબેન મેહતાએ સુવ્યવસ્થિત અને સૌમ્ય મંચ સંચાલન કર્યું હતું. ઉદગમ પરિવારના વૈજંતી ગુપ્તે, પરમજીત કૌર છાબડા, ચાણક્ય જોષી, મનોજ જોષી, દીપાંશ છાબડા, કિરાત જોષી, જીયા, વિધિ, પૃવાંગસિંહ, જયેશ અને બીરેન હંસરાજ સહિત અનેક સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે નોંધપાત્ર સહયોગ આપ્યો હતો. ઉદગમ શબ્દ સુરોત્સવે ગાંધીનગરમાં શાસ્ત્રીય સંગીત અને સામાજિક ચેતનાનું સુંદર સંગમ રજૂ કર્યું હતું.




