ગાંધીનગર: ગુજરાતના રાજકારણ અને ભાવિ વિકાસનો રોડમેપ તૈયાર કરતું વિધાનસભાનું બજેટ સત્ર આગામી 16 ફેબ્રુઆરી, 2026થી શરૂ થવા જઈ રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આહ્વાન બાદ હવે સત્રનું વિગતવાર માળખું જાહેર કરવામાં આવ્યું છે. આ સત્ર 25 માર્ચ સુધી ચાલશે, જેમાં રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વના નિર્ણયો લેવામાં આવશે.

આગામી બજેટ સત્ર કુલ 23 દિવસ સુધી ચાલશે, જે દરમિયાન વિવિધ કાયદાકીય પ્રક્રિયાઓ અને ચર્ચાઓ માટે કુલ 26 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. સત્રના પ્રારંભમાં સરકારના વિઝન અને અત્યાર સુધીની સિદ્ધિઓની વિગતો રજૂ કરાશે. ત્યારબાદ નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-27નું રાજ્યનું અંદાજપત્ર (બજેટ) રજૂ કરશે. 17મી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાની શક્યતા છે.
વર્ષ 2026-27ના આ બજેટમાં મધ્યમ વર્ગ, ખેડૂતો અને યુવાઓ માટે મોટી જાહેરાતો થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર ‘વિકસિત ગુજરાત @2047’ના લક્ષ્યને પૂર્ણ કરવા માટે શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓમાં જંગી ફાળવણી કરી શકે છે.
આ સત્ર દરમિયાન માત્ર નાણાકીય બાબતો જ નહીં, પરંતુ કેટલાક નિર્ણાયક વિધેયકો પણ રજૂ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. રાજકીય વર્તુળોમાં એવી પણ અટકળો તેજ બની છે કે સરકાર સમાન નાગરિક સંહિતા (UCC)ને લગતા કોઈ મહત્વપૂર્ણ પગલાં આ સત્રમાં લઈ શકે છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તારાંકિત પ્રશ્નોત્તરી સહિતના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરી લીધી છે.




