દોષિતોને સજા-પીડિતોને ન્યાયની લડાઈ એટલે ‘ગુજરાત ન્યાય યાત્રાઃ શક્તિસિંહ ગોહિલ

રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચારને લીધે વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, કાંકરિયા રાઈડ કાંડ, તક્ષશિલા આગ કાંડ , બુલડોઝર કાંડ, લઠ્ઠા કાંડ, પેપર કાંડ, અંધાપા કાંડ, ભુમાફિયા કાંડ, બળાત્કાર કાંડ જેવા અનેક કાંડોનો ભોગ ગુજરાતના નિર્દોષ નાગરિકોને ન્યાય અપાવવા શરૂ થયેલી ‘ગુજરાત ન્યાય યાત્રા’ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, દોષિતોને સજા-પીડિતોને ન્યાયની લડાઈ એટલે કોંગ્રેસની ન્યાયયાત્રા, 9 ઓગસ્ટ થી મોરબી ખાતેથી શરૂ થઈ હતી.

વધુમાં તેમણે જણાવ્યું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પક્ષની ‘ગુજરાત ન્યાય યાત્રા’ મોરબી – ટંકારા – રાજકોટ – ચોટીલા – સુરેન્દ્રનગર – વિરમગામ – સાણંદ થઈ ચાંદખેડા અમદાવાદ ખાતે યાત્રાનું સમાપન થશે. તા. 22 ઓગસ્ટના રોજ સવારે 8:30 કલાકે અમદાવાદના સાબર ચોકડી, સરખેજ ખાતે અમદાવાદ શહેર સમિતિ ગુજરાત ન્યાય યાત્રાનું સ્વાગત કરશે. ત્યાર બાદ યાત્રા અમદાવાદ શહેરમાં પ્રવેશ કરી બપોરે રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચશે. બપોરે ૩-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવનથી પદયાત્રા પૂજ્ય ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતે સાંજે ૫-૩૦ કલાકે પ્રાર્થના સભામાં જોડાશે. તાજેતરમાં સેબી અંગેના હિન્ડન બર્ગ રિપોર્ટમાં ઉજાગર થયેલ ભાજપ સરકારમાં ભયમુક્ત ભ્રષ્ટાચારના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો પ્લે-કાર્ડ સાથે પદયાત્રામાં જોડાશે. તા. 23 ઓગસ્ટના રોજ સવારે 8 કલાકે ગુજરાત ન્યાય યાત્રા સાબરમતી આશ્રમથી સુભાષબ્રીજ થઈ ચાંદખેડા ખાતે જનસભા સ્વરૂપે સમાપન થશે.

રાજ્યમાં નકલી અધિકારીઓ તથા નકલી સરકારી કચેરીઓનો રાફડો ફાટ્યો છે. પૂ. મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસ સ્ટેશનો, સરકારી કચેરીઓ, સરકારી હોસ્પિટલો, સરકારી વાહનોમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલો માણવામાં આવે છે અને ગુજરાતમાં કરોડો લીટર દારૂ બે-રોકટોક ઠલવાઈ રહ્યો છે. ગુજરાતના યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડેલ ભાજપ શાસનમાં ખુલ્લેઆમ વેચાતા ડ્રગ્સના કારણે યુવાનો મોટાપાયે ડ્રગ્સ તરફ વળી રહ્યા છે અને રાજ્યનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા સહિત તમામ મોરચે નિષ્ફળ નીવડેલ ભાજપ સરકાર ધૃતરાષ્ટ્ર બનીને માત્ર તમાશો જોઈ રહી ત્યારે ગુજરાત ન્યાય યાત્રા ગુજરાતીઓના ન્યાય અને હક્ક માટેનો અવાજ બુંલદ કરી રહી છે.