PM મોદીએ પ્લાન્ટનું ઉદઘાટન કરતાં સંસ્મરણો વાગોળ્યાં

બનાસકાંઠાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમણે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં હતાં, જેમાં સાબર ડેરી હિંમતનગરમાં રૂ. 305 કરોડના ખર્ચે નવનિર્મિત પાઉડર પ્લાન્ટનું લોકાર્પણ તેમ જ રૂ. 600 કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું.

તેમણે આ ઉપરાંત રૂ. 125 કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે મહિલા પશુપાલકોનું તેમને હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું. છે. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં સિંચાઈની સુવિધાઓનો વિસ્તાર થયો, તેમ-તેમ કૃષિ અને પશુપાલનના ક્ષેત્રમાં અમે ઘણો જ વિકાસ કર્યો અને ડેરીએ તેને મોટી તાકાત આપી.’ રાજ્યમાં ડેરી માર્કેટ રૂ. એક લાખ કરોડ સુધી પહોંચી ગયો છે.

આ પ્રસંગે તેમણે સભાને સંબોધતાં કહ્યું હતું કે સાબર ડેરીની વાત આવે અને ભૂરાભાઈની યાદ ન આવે તો વાત અધૂરી રહી જાય. ભૂરાભાઈ પટેલ દ્વારા દાયકા પહેલાં જે પ્રયાસ શરૂ કર્યો હતો, એ આજે લાખો લોકોનું જીવન બદલવામાં મદદ કરી રહ્યો છે.સાબરકાંઠામાં કદાચ કોઈક જ એવો ભાગ હશે જ્યાં મારું જવાનું ન થયું હોય. ઈડર વડાલી ખેડના અવાજ હું આવું એટલે મારા કાનમાં ગુંજે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કરોડથી વધારે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યાં છે. તેમણે તેમના સાબરકાંઠાના પોતાના જૂના સાથીઓને યાદ કર્યા હતા. તેમણે જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ સ્વ. જ્યેન્દ્રસિંહ રાઠોડ અને હિંમતનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ શ્રીરામ સંખલાને યાદ કર્યા હતા. સાબર ડેરી હવે સમગ્ર જિલ્લામાં મધમાખીની પેટી ખેડૂત પશુપાલકોને આપી રહી છે, જે સારી વાત છે. સરકાર ખેડૂતોને 3500ની યુરિયા થેલી 300 રૂપિયામાં આપે છે.