સોલા ભાગવત વિદ્યાપીઠમાં ‘ગૌભક્તમાલ કથા’’નું આયોજન

અમદાવાદ: સોલા ભાગવત વિદ્યાપીઠમાં ગૌઋષિ સ્વામી દત્તશરણાનંદજી મહારાજજીના પાવન સાંનિધ્યમાં ચાતુર્માસ ગૌમંગલ મહોત્સવ ઊજવાઈ રહ્યો છે, જે અંતર્ગત સોલા ભાગવત વિદ્યાપીઠમાં સૌપ્રથમ વાર 16થી 22 ઓગસ્ટમાં “ગૌભક્તમાલ કથા” અને 18થી 22 ઓગસ્ટ ગૌભક્ત પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમ્યાન 19 ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે સોલા ભાગવત મંદિરમાં વિશેષ જન્માષ્ટમી પર્વ નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજિંગ ટ્રસ્ટી ભાગવત ઋષિજીએ જણાવ્યું હતું કે ગૌલોકવાસી પ્રેમ ભાગવત કૃષ્ણશંકર શાસ્ત્રીજી (દાદાજી) દ્વારા સ્થાપિત સોલા ભાગવત વિદ્યાપીઠમાં ગુજરાતી ઉક્તિ- ‘સબ ભૂમિ ગોપાલ કી’ એટલે કે જે ભૂમિ પર સ્વયં ગૌપાલક શ્રી ભગવાન દ્વારકાધીશે આવીને નિવાસ કર્યો છે. આવા ગૌપ્રેમી ગુજરાત રાજ્યમાં સંપૂર્ણ વેદલક્ષણા ગૌવંશના સંરક્ષણ, સંપોષણ, સવધર્ન, પંચગવ્ય વિનિયોગ અને ગૌ આધારિત ઋષિ પુનઃ સ્થાપનાના સંકલ્પ સાથે પરમ શ્રદ્ધેય ગૌઋષિ સ્વામી દત્તશરણાનંદજી મહારાજના સાંનિધ્યમાં પરમ પૂજ્ય ગૌવત્સ રાધાકૃષ્ણજી મહારાજના મુખેથી ‘ગૌભક્તમાલ કથા’નું આયોજન 16થી 22 ઓગસ્ટ બપોરે બેથી પાંચમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 18થી 22 ઓગસ્ટ ગૌભક્ત પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પરમ પૂજ્ય ગૌઉપાસક ગોપાલાનંદ સરસ્વતીજી મહારાજનો 26થી 30 ઓગસ્ટમાં બપોરે બેથી પાંચ કલાક વેદલક્ષણા ગૌમહિમા સત્સંગ યોજાશે. ચાતુર્માસ ગૌમંગળ મહોત્સવના સર્વકલ્યાણકારી ઉત્સવોમાં 19 ઓગસ્ટે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વ-નંદ મહોત્સવ, 31 ઓગસ્ટે રોજ શ્રી ગણેશ ચતુર્થી, 4 સપ્ટેમ્બરે શ્રી રાધા અષ્ટમી ઉત્સવ, ૯ સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી ઉત્સવ અને ચાતુર્માસ સમાપન સમારોહ ભાગવત વિદ્યાપીઠના પ્રાંગણમાં યોજાશે.