સરદાર સરોવર ડેમ બાંધવાનું એકમાત્ર શ્રેય મોદીનેઃ ચૌહાણ

ઇન્દોરઃ જો મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન ના હોત તો નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ ક્યારેય બની શક્યો ના હોત, એમ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે રવિવારે ઇન્દોરમાં મોદી@20: ડ્રીમ્સ મીટ પુસ્તકના કાર્યક્રમમાં જણાવ્યું હતું. તેમણે નર્મદા નદીને મધ્ય પ્રદેશ અને ગુજરાતની જીવાદોરી ગણાવી હતી. નર્મદા નદી પરના ડેમના પ્રોજેક્ટનો ઘણા લોકો વિરોધ કરી રહ્યા હતા અને તેમણે આ પ્રોજેક્ટમાં ઘણાં રોડાં નાખ્યાં હતાં, એમ તેમણે કહ્યું હતું.

વડા પ્રધાન જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારે હું મધ્ય પ્રદેશનો મુખ્ય પ્રધાન હતો, અમે બંને જણે નક્કી કર્યું હતું કે ડેમવિરોધી લોકોનો છૂપો એજન્ડા અમે ખુલ્લો પાડીશું. જો મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન ના હોત તો સરદાર સરોવર ડેમ બાંધી ના શકાત. તેઓ જાણતા હતા કે આ ડેમ બંને રાજ્યોના લોકો માટે કલ્યાણકારી છે, એમ તેમણે કહ્યું હતું.

આ પહેલાં તેમણે જબલપુર ડિવિઝનમાં યુરિયાના વિતરણમાં ગેરરીતિઓ સામે આવતાં તેમણે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. આ મામલે અનેક ફરિયાદો મળ્યા પછી તેમણે આ બેઠક યોજી હતી.

પુસ્તક મોદી@20ના વિમોચન પ્રસંગે ભાજપ અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે. એ પુસ્તકના પ્રકાશકોના જણાવ્યાનુસાર મોદીના વહીવટી શાસનના અનોખા મોડલને કારણે છેલ્લાં 20 વર્ષોમાં ગુજરાત અને ભારતમાં પરિવર્તનનો દોર ચાલ્યો છે.

હું એ વિશ્વાસપૂર્વ કહી શકું છું કે આ પુસ્તક ભવિષ્યની પેઢી માટે શ્રીકૃષ્ણના ગીતાના ઉપદેશ જેટલું જ મહત્ત્વ ધરાવે છે, એમ કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું.