અમદાવાદ-ગાંધીનગરને જોડતી મેટ્રોનો થશે પ્રારંભ, જાણો રૂટ

આગામી સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી અમદાવાદથી ગાંધીનગરને જોડતી મેટ્રોનું શુભારંભ થશે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહ એટલે કે તારીખ 16 અને 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. ત્યારે આ અમદાવાદથી ગાંધીનગરને જોડતી મેટ્રોનું ઉદ્ધાટન કરવામાં આવશે. ગત મહિનાના પ્રથમ સપ્તાહમાં જ કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્‌ટી (સીએમઆરએસ) દ્વારા આ રૂટનું ઈન્સ્પેક્શન હાથ ધરાયું હતું.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ આ મેટ્રો રૂટનો પ્રારંભ 15 ઓગસ્ટની આસપાસ થવાની સંભાવના હતી. પરંતુ હવે પ્રધાનમંત્રી હસ્તે આ રૂટનું ઉદ્‌ઘાટન થશે. જ્યારે આ બાબતે કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. માહિતી પ્રમાણે મહાત્મા મંદિરથી ગિફ્ટ સિટી વચ્ચેની મેટ્રો ટ્રેનની કામગીરી હજુ શરૂ છે અને તે રૂટ આ વર્ષના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના હાલ નહિવત્‌ છે. મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગરના સેક્ટર-1 (ઈન્દ્રોડા સર્કલ)ના ફેઝ-2ની ટ્રાયલ ફેબુ્રઆરીમાં જ પૂરી કરી દેવાઇ હતી. જેના માટે નર્મદા કેનાલ ઉપર 300 મીટરના કેબલ બ્રિજનું પણ નિર્માણ કરાયું છે. ફેઝ-2માં કુલ 28.24 કિલોમીટરનો રૂટ છે. જેમાં 22.84 કિલોમીટર મોટેરાથી મહાત્મા મંદિર કોરિડોર, 5.42 કિલોમીટર મંદિર-જીએનએલયુ-ગિફ્ટ સિટી કોરિડોરનો સમાવેશ થાય છે. મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે કુલ 20 જ્યારે અને જીએનએલયુ-ગિફ્ટ સિટીના બે સ્ટેશન હશે.

મોટેરાથી મહાત્મા મંદિર સુધીમાં કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂનું કોબા, કોબા ગામ, જીએનએલયુ, પીડીપીયુ, ગિફ્ટ, રાયસણ, રાંદેસણ, ધોળા કુવા સર્કલ, ઈન્ફોસિટી, સેક્ટર-1, સેક્ટર-10એ, સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24, મહાત્મા મંદિર સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.