મહાત્મા ગાંધીના પ્રપૌત્રે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો

અમદાવાદઃ મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીએ સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ કરવા મોદી સરકાર દ્વારા હાથ ધરાયેલા મોટા પ્રોજેકટ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં હાઇકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે. અરજદારે દાવો કર્યો હતો કે રાજ્યની હાઇકોર્ટે રાજ્યના એડવોકેટ જનરલ આપવામાં આવેલા નિવેદન પર અરજી ફગાવી દેવામાં આવી છે.  સરકારે આશ્રમમાં દસકાઓથી રહેતા પરિવારોને અન્યત્ર વસાવી સમગ્ર આશ્રમનું રિનોવેશન કરવાનો પ્લાન અમલમાં મૂકી દીધો છે પણ તેની સામે તુષાર ગાંધીએ લડત ચાલુ કરી છે.
મોદી સરકારે અંદાજે 10, 000 કરોડના ખર્ચે સાબરમતી આશ્રમને રિડેવલપમેન્ટ કરવાનો પ્લાન શરૂ કર્યો છે, પરંતુ મહાત્મા ગાંધીએ જયાંથી સત્યાગ્રહ ચાલુ કર્યો હતો એ આશ્રમની જે કુદરતી પરિસ્થિતિ છે તે જળવાઈ રહે અને મહાત્મા ગાંધીનાં સંસ્મરણો સાથે ચેડાં ન થાય તેવી માગણી સાથે તુષાર ગાંધીએ આ રિટ અરજી કરી છે. જોકે સરકાર પ્રોજેકટમાં ઘણી આગળ વધી ગઈ છે. અહીં વસતા લોકોને અમદાવાદમાં ફલેટ તથા અન્ય સુવિધાઓ સાથે વસાવી દેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી રિટમાં જણાવ્યું છે કે ગાંધીજીનું આ સ્મારક તેના મૂળ સ્વરૂપે જળવાય રહે તો જ તેની પવિત્રતા જળવાશે.

આ પહેલાં અરજદારની વ્યથા સાંભળ્યા બાદ અને સરકારે આપેલી ખાતરી રેકોર્ડ કર્યા બાદ ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે કહ્યું હતું કે રાજ્ય સરકારની ખાતરી બાદ અરજી આગળ સાંભળવાની જરૂર નથી અને તેને ફગાવી દેવામાં આવે છે. અહીં અરજદારની વ્યથાનું નિરાકરણ આવે છે. હાઈકોર્ટે આગળ એમ પણ કહ્યું હતું કે સરકાર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેની સામે કોઈને વાંધો હોય તો એ વ્યક્તિ દીવાની મુકદમો કરી શકે છે પરંતુ આ મુદ્દો હવે જાહેર હિતની અરજીનો નથી.