શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા ‘ઓનલાઇન બુક ટોક ક્લબ’નો પ્રારંભ

અમદાવાદઃ અમદાવાદસ્થિત ગુજરાતની અગ્રગણ્ય બિઝનેસ મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા “શાંતિ બિઝનેસ સ્કૂલ” દ્વારા ઓનલાઇન બુક ટોક ક્લબ “મંથન”ની હાલમાં જ સ્થાપના કરવામાં આવી છે. લોકો પોતાનું જ્ઞાન બીજા સાથે વહેંચી  શકે અને વિદ્યાર્થીઓમાં પુસ્તક વાચનની આદત પડે એ માટે “મંથન” બુક  ટોક ક્લબની સ્થાપના પાછળનો હેતુ છે. “મંથન” બુક ટોક ક્લબ અંતર્ગત સમયાંતરે વિશ્વનાં વિવિધ  ભાષા અને વિષયોનાં પુસ્તકો  અંગે ચર્ચા કરવામાં આવશે, જેમાં  વિદ્યાર્થીઓ નજીકના સમયમાં વાંચેલા કોઈ પણ ભાષા અને વિષયના પુસ્તક અંગે ચર્ચા કરી શકશે.

આ  અંગે ” શાંતિ બિઝનેસ સ્કૂલ”ના ડિરેક્ટર  ડો. નેહા શર્માએ  જણાવ્યું હતું કે “પુસ્તકો માત્ર જ્ઞાનનો ખજાનો નથી, પરંતુ એ આ વિશ્વના મહાન જ્ઞાનીઓ સાથે જોડાવાની સૌથી સહેલી રીત છે. ‘મંથન’નો હેતુ અમારા મેનેજર્સ વિદ્યાર્થીઓના વિચાર,પરિપ્રેક્ષ્ય અને જ્ઞાનની ક્ષિતિજને વિસ્તૃત કરવાનો છે.”

“મંથન” ક્લબના ઉદ્દઘાટનમાં ડો.પ્રશાંત પરીકે “અનીશા મોટવાણી” દ્વારા લખાયેલા “સ્ટોર્મ ધ નોર્મ – અનટોલ્ડ સ્ટોરીઝ ઓફ 20 બ્રાન્ડ્સ” પુસ્તક પર ચર્ચા કરી હતી. પ્રશાંત પરીકે પોતાની વાતોમાં ભારતની કેટલીક લેગસી બ્રાન્ડ્સની જર્ની શેર કરી અને કેવી રીતે આ બ્રાન્ડ્સ બજારમાં ઉદ્દભવતી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી આગળ આવી એ અંગે જણાવ્યું હતું. વધુમાં, તેમણે પીવીઆર સિનેમા, કુરકુરે, ટાટા ટી અને કેડબરી જેવી બ્રાન્ડની સફળતા વિષે વિગતવાર ચર્ચા કરી હતી.