રાજકોટ હોસ્પિટલમાં આગ મામલે તપાસ રિપોર્ટ સોંપાયો

રાજકોટઃ રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ જણનાં મોત થયાં હતાં. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ આગ મામલે તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.  રાજકોટની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની તપાસ ઉચ્ચ સચિવ અધિકારી એ.કે. રાકેશને સોંપવામાં આવી હતી. આ મામલે એ.કે. રાકેશે તપાસ રિપોર્ટ સરકારને સોંપી દીધો છે.રાજ્ય સરકારના તપાસનીશ અધિકારી ACS એ. કે. રાકેશે આજે તપાસ રિપોર્ટ સામાન્ય વહીવટી વિભાગને સોંપી દીધો છે. આ તપાસ રિપોર્ટ સાથે એફએસએલનો રિપોર્ટ પણ સામેલ છે. આ અહેવાલમાં આગ શોર્ટ સર્કિટથી લાગી ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં મેડિકલ સાધનથી આગ લાગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં અગ્નિકાંડ ટેક્નિકલ કારણોને લીધો થયો હોવાનો ઉલ્લેખ છે. જોકે કયા સાધનને કારણે ખરેખર આગ લાગી છે એ જાણવા મળ્યું નથી. હોસ્પિટલના ICUમાં વેન્ટિલેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હોવાના અહેવાલ વહેતા થયા હતા.
પાંચ લોકોનાં મોત

રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગકાંડના બનાવમાં કોરોનાની સારવાર લઈ રહેલા પાંચ દર્દીઓનાં મૃત્યુ નીપજ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાંની સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવાર માટે સહાય પણ જાહેર કરવામાં આવી હતી.