વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા રાજવી વંશજોનું સન્માન થશે

અમદાવાદઃ વિશ્વ ઉમિયાધામ સૌપ્રથમ વખત અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ  સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહા સંમેલનનું આયોજન કરી રહ્યું છે, જેમાં રાજ્યભરમાંથી દરેક સમાજની એક લાખથી વધુ રાષ્ટ્રપ્રેમી જનતા સરદાર સાહેબની જીવનગાથાનું રસપાન કરશે. સરદાર પટેલના જીવનની સિદ્ધાંતોને સમજવા માટે તેમના સંકલ્પ સિદ્ધ પ્રસંગોમાંથી આજના યુવાનોને પ્રેરણા મળે એ હેતુથી સરદાર પટેલ ગૌરવગાથાનું આયોજન કરાયું છે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આ કાર્યક્રમમાં હિન્દુત્વના પ્રતીક અને દેશના વીર પુરુષ એવા મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજના રાજવી વંશજો સહિત દેશના 50થી વધુ મોટા રાજવી પરિવારોનું સન્માન કરશે. આ કાર્યક્રમમાં અખંડ ભારતના નિર્માણના સહભાગી એવા રાજાઓના ત્યાગ અને સમર્પણને યાદ કરાશે અને દેશમાં તેમના સંદેશ મોકલશે.

આ આયોજન નિમિત્તે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 10,000થી વધુ કાર રેલી સ્વરૂપે અમદાવાદમાં કાર્યક્રમ સ્થળે પહોંચશે. કાર રેલી સ્વરૂપે આવનાર લોકો ‘મેરી મિટ્ટી-મેરા દેશ, મેરા ધર્મની ભાવના’ સાથે પોતાના શહેર અને ગામની માટીની પૂજા કરી કળશમાં લઈને આવશે. રાજ્યમાંથી આવેલી આ માટીના કળશની પૂજાવિધિ કરી વિશ્વ ઉમિયધામ દ્વારા નિર્મિત જગતજનની મા ઉમિયાના મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

આ કાર્યક્રમ અંગે વધુ જણાવતાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ કહે છે કે જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ મંદિર નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે સરદાર સાહેબની 149મી જન્મજયંતીના દિવસે સરદાર ગૌરવ ગાથા તેમ જ રાજવી વંશજોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સાથે જ મનની માવજત અને સમસ્યાઓના સમાધાન હેતુથી ઉમા કાઉન્સલિંગ સેન્ટરનું પણ ઉદઘાટન થઈ રહ્યું છે. આ ઉપરાંત વિશ્વ ઉમિયાધામ દ્વારા ગાંધીનગરમાં 1.4.5 ACADEMY નો પણ 31 ઓક્ટોબરે શુભારંભ થવાનો છે, જ્યાં કોઈ પણ સમાજના યુવાનો તાલીમ લઈને IAS થવાનું સ્વપ્ન પૂર્ણ કરશે. એ સાથો સાથ વિશ્વ ઉમિયાધામ દ્વારા દેશના ખેલાડીઓ વૈશ્વિક રમતોમાં ઉત્તમ પ્રદાન કરી શકે તે હેતુથી આગામી ડિસેમ્બરમાં વૈશ્વિક ખેલ મહોત્સવનું ભવ્ય આયોજન કરી રહ્યું છે. જેમાં દરેક સમાજના ગુજરાત સહિત દેશ-વિદેશનાં એક લાખ જેટલા ખેલાડીઓ ભાગ લઈ પોતાની રમતનું કૌશલ બતાવશે.