કોરોનાઃ ઈરાનમાં ફસાયો ગુજરાતી જૈન પરિવાર

અમદાવાદઃ ચીનમાંથી ઉદ્ભવેલા કોરોના વાયરસે અત્યારે આખા વિશ્વમાં રીતસરનો ભરડો લીધો છે. કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. આખા વિશ્વમાં આ કોરોના વાયરસના કારણે ડરનો માહોલ ફેલાયો છે. ત્યારે ઈરાનમાં એક ગુજરાતનો જૈન પરિવાર અત્યારે ફસાયો છે. આ પરિવારના એક યુવક દ્વારા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પાસે મદદ માંગવામાં આવી છે. વિડીયોમાં યુવકે જણાવ્યું કે, અમને કંઈક થશે તો તેના માટે ભારતીય એમ્બેસી જવાબદાર ગણાશે.

મૂળ ગુજરાતી જૈન અને મુંબઈમાં રહેતો પરિવાર અત્યારે ઈરાનમાં ફસાયો છે. પરિવારનાં કૈવન શાહ નામનાં યુવાને સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરીને મદદ માગી છે અને પોતાની વ્યથ વ્યક્ત કરતાં કૈવન શાહ કહે છે કે, છેલ્લા 20 દિવસથી તહેરાનમાં છું. ઈન્ડિયન એમ્બેસીનાં અધિકારીઓ છેલ્લા 10 દિવસથી કહી રહ્યા છે કે તમારા માટે કાંઈ કરીશું. હું રોજ 6 દિવસથી દરરોજ 3 કલાક અહીં આવું છું. અને વિનંતી કરું છું કે, સર મારા માતા-પિતા 62 વર્ષની આસપાસનાં છે અને આ લોકો તેમને કોરોના વાઈરસ થાય તેની ત્યાં સુધી લઈ જવા માગતા નથી.

આ ઉપરાંત વીડિયોમાં યુવાને કહ્યું કે, અમારી પાસે ભોજનના પણ પૈસા નથી. અમે શાકાહારી છીએ એટલે હાલ ફળ અને શાકભાજી પર જીવી રહ્યા છીએ. હું હાથ જોડીને વિદેશ મંત્રી અને વડાપ્રધાનને વિનંતી કરૂ છું કે, આર્મીનું પ્લેન મોકલો, અમારા માટે એક પણ ફ્લાઇટ નથી.