વડા પ્રધાન મોદીએ સોમનાથ મંદિરમાં પૂજા કરી

વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ભગવાન શંકરને સમર્પિત સોમનાથ મંદિરની આજે સવારે મુલાકાતે જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં દર્શન કર્યા હતા અને પૂજા-અર્ચના, પ્રાર્થના કરી હતી તથા સોમનાથદાદાના આશીર્વાદ માગ્યા હતા.

વડા પ્રધાન મોદી આ વિશ્વપ્રસિદ્ધ મંદિરનું સંચાલન કરતા સોમનાથ ટ્રસ્ટના ચેરમેન પણ છે. એમણે મંદિરમાં ધજા પણ ફરકાવી હતી.

બાદમાં એમણે મંદિરમાં દર્શન કરવા આવેલા અન્ય શ્રદ્ધાળુઓનું અભિવાદન પણ કર્યું હતું.

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે પીએમ મોદી હાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદમાં રેલીઓને સંબોધિત કરવાના છે. ગુજરાતમાં 182-સીટની વિધાનસભાની ચૂંટણી માટે આવતી 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. મતગણતરી 8 ડિસેમ્બરે કરાશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે.