સિંહોના મોતનો મામલો: ગેરકાયદે લાયન શો અને સિંહોની પજવણી સામે હાઈકોર્ટની લાલઆંખ

જૂનાગઢ- ગીરમાં 12મી સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 23 સિંહોના મૃત્યુ થતાં જૂનાગઢથી લઇ ગાંધીનગર સુધીનું તંત્ર દોડતું થઇ ગયું છે. ત્યારે આજે સિંહોના મામલે ગુજરાત હાઇકોર્ટે દ્વારા અવલોકન કરાયું છે. ગેરકાયદે લાયન શો અને સિંહોની પજવણી સામે ગુજરાત હાઇકોર્ટે લાલઆંખ કરી છે. સિંહને અપાતા પોલ્ટ્રી ચિકનથી વાયરસ ફેલાવાની શકયતા વધુ છે. પોલ્ટ્રી ચિકનથી વાયરસ ફેલાવાની શકયતા નકારી શકાય નહીં.

ગીરમાં અત્યાર સુધીમાં 23 સિંહોના મોત બાદ પણ હજુ કેટલાંક સિંહો વાયરસની અસર તળે છે અને તેમની સ્થિતિ નાજુક બતાવામાં આવી રહી છે.

પ્રોટોઝોઆ ઇન્ફેક્શન છે શું?

ગીરના સિંહોમાં અને ખાસ કરીને ગીર પૂર્વ વન વિસ્તારમાં સિંહોને પ્રોટોઝોઆ ઈન્ફેક્શન જોવા મળતા વન અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. જૂનાગઢની વેટરનરી કોલેજના આ રિપોર્ટ પ્રમાણે ટીક્સથી ફેલાતો પ્રોટોઝોઆ ઈન્ફેક્શન સિંહની ઈમ્યૂન સિસ્ટમ પર અસર કરે છે અને લોહીના રક્તકણોને તોડી નાખે છે. આ એક કોષીય સજીવ અમીબા છે. પ્રોટોઝોઆના રિપોર્ટ પછી કદાચ એ સિંહોની નબળી પડેલી ઈમ્યૂન સિસ્ટમને ફરીથી જનરેટ કરવા એ સિંહોને ઈટાવા અને દિલ્હી ઝૂથી આવેલા ડોક્ટરોની ટીમ દ્વારા વેક્સિનેશન કરવામાં આવે તેવી શક્યતા છે. અમેરિકાથી પણ વેક્સિન મંગાવી છે.

વન તંત્રના ઉચ્ચ અધિકારીએ આખરે સિંહોમાં ‘ કેનાઈન ડિસ્ટેમ્પર ‘ નામની ઘાતક બીમારી હોવાનો સ્વીકાર કર્યો છે. હાલમાં વધુ 3 સિંહોની સ્થિતિ નાજૂક હોવાનું જાણવા મળે છે. આજે દલખાણીયા રેન્જના વધુ બે સિંહોએ પણ સારવાર દરમિયાન દમ તોડયો હતો. સિંહોને કુદરતી શિકારને બદલે તૈયાર મારણ આપવાથી બીમારી વકરી છે. વનતંત્રએ આખરે આજે સ્વીકાર્યું હતું કે 4 સિંહોમાં કેનાઈન ડિસ્ટેમ્પર જેવી ઘાતક બિમારીના લક્ષણો જોવા મળ્યા છે. આથી 31 સિંહોને રેસ્કયુ કરી એનિમલ કેર સેન્ટરમાં રાખી વેક્સીનેશનની કામગીરી ચાલી રહી છે. હાલમાં મૃત્યુ પામેલા 31 સિંહોની સાથેના અન્ય પાંચ સિંહોની સ્થિતિ ચિંતાજનક છે.

ગીરમાં 64 ટીમો દ્વારા 600 સિંહોના સ્ક્રિનિંગનું નેતૃત્વ કરનાર ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન અક્ષય સક્સેનાએ જણાવ્યું કે 4 સિંહોમાં કેનાઈન ડિસ્ટેમ્પરના લક્ષણો જણાતા તમામ સિંહોનું પરીક્ષણ થઇ રહ્યું છે. જુદી જુદી રેન્જ જામવાળા, જસાધાર અને આસપાસના સિંહો પર પણ નજર રાખવામાં આવી રહી છે. ગીરમાં 10 સિંહોના મોત વાયરસ અને પ્રોટોઝોલા ઈન્ફેક્શનના કારણે થયાની જાહેરાત બાદ હવે આ મામલે અધિકારીઓની બેદરકારીની પણ તપાસ શરૂ થઈ છે.