ગુજરાત ભાજપનો ગઢ, ભગવો લહેરાયોઃ વિજય રૂપાણી

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે.  ભાજપની ઓફિસ કમલમમાં વિજયોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કમલમમાં ઢોલ-નગારા સાથે ભવ્ય ઉજવણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, સીઆર પાટીલ અને નીતિન પટેલ કમલમ પહોંચ્યા છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે રાજ્યમાં ભગવો લહેરાયો છે. શહેરો કરતાં પણ સારું પરિણામ આવ્યું છે. ગુજરાત એ ભાજપનો ગઢ છે. કોંગ્રેસના લોકોને વીણી-વીણીને સફાયો થયો છે. પક્ષના કાર્યકરોના પરિશ્રમનું પરિણામ છે. રાજ્યમાં આ વિકાસની જીત છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત તેમના ભાઈ-ભત્રીજા અને પુત્રોનો પણ કારમો વિજય થયો છે. કોંગ્રેસના ગઢમાં ગાબડાં પડ્યાં છે. તેમણે કહ્યું હતું કે વિકાસની રાજનીતિ એ જ ભાજપનો ખરો એજન્ડા હતો જેને લઈને કોંગ્રેસનો કારમો પરાજય થયો. આ ગુજરાત અમિત શાહ અને નરેન્દ્ર મોદીનું  છે.

રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે મતગણતરીનાં પ્રારંભ સાથે જ  ભાજપે સપાટો બોલાવીને જિલ્લા પંચાયતની 31 સીટ પૈકી 30, 231 તાલુકા પંચાયત પૈકી 158,  નગરપાલિકામાં 81 પૈકી 67 બેઠક પર પર આગળ છે.  ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યો છે. તમામ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં સર્વત્ર ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. ભાજપે તમામ જિલ્લા પંચાયતની બેઠકો જીતી કોંગ્રેસનાં સૂપડાં સાફ કર્યાં છે.

આપ પણ આગળ
મહાનગરપાલિકાની જેમ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ક્યાંક ક્યાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. કુલ 45 થી વધુ બેઠકો પર આમ આદમી પાર્ટી આગળ છે.