સરકારે શિક્ષક સહાયકોની ભરતીની કરી જાહેરાત..

રાજ્યમાં શિક્ષણ ભરતીના મુદ્દાને લઈ TAT અને TET ઉમેદવારો સરકાર સામે મેદાને ઉતર્યા હતા. જે બાદ સરકારે કાયમી ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં સરકાર દ્વારા 24700 જેટલા શિક્ષકોની સરકારી શાળાઓમાં ભરતી કરવાની જાહેરાત કરી હતી. જેમાં કમ્પ્યુટર જેવા વિષયના શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી ન હતી. આ મદ્દે ગાંધીનગરમાં ફરી એક વખત આંદોલન સૂર ગુજ્યા હતા. ત્યાર બાદ સરકાર સફાળુ જાગી ગયું છે, અને રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 7500 જેટલા શિક્ષણ સહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત શાળા મંડળની માંગણી અનુસાર સાક્ષરી વિષયોની સાથે વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત જેવા વિષયોની ખાલી જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવશે.

24700 શિક્ષકો થશે ભરતી

રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્‍ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્‍ડરને આખરી ઓપ આપ્યો હતો. શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્‍ડરના સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગષ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

શિક્ષકોની ભરતી માટે સંભવિત તારીખો

સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે રાજ્યના યુવાઓના વિશાળ હિતમાં કરેલા આ મહત્વ પૂર્ણ આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી. ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્‍ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની 01/08/2024 રહેશે. આ ઉપરાંત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ મળીને અંદાજે 4000 જેટલી જગ્યાઓ સંભવિત જાહેરાતની 01/09/2024 રહેશે. જ્યારે સરકારી અને ગ્રાન્‍ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 3500 જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.01/10/2024 રહેશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-2 પાસ ઉમેદવારો માટેની અંદાજે 7000 જગ્યાઓ માટેની સંભવિત ભરતી જાહેરાતની તા. 01/11/2024 રહેશે. આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 5000 જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 1200 જગ્યાઓ માટે ભરતી માટે સંભવતઃ તા.01/12/2024ના રોજ જાહેરાત થશે.