લોકોમાં ફિટનેસ મુદ્દે ગંભીરતા વધશેઃ ગીતા ફોગાટ, રાની રામપાલ

અમદાવાદ, ડિસેમ્બર 2022: આજના સમયમાં ઉંમર પ્રમાણે લોકોએ પોતાની ફિટનેસનું સ્તર જાળવી રાખવું ઘણું જ જરૂરી છે, જેના કારણે બિનજરૂરી સમસ્યાઓથી બચી શકાય. ભારતીય રમતવીર ગીતા ફોગાટ અને રાની રામપાલે સ્વીકાર્યું કે, ફિટનેસ સારા સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ પાસું છે તથા અદાણી અમદાવાદ મેરેથોન જેવી ઈવેન્ટ્સ લોકોને ફિટનેસ માટે પ્રોત્સાહિત કરવાનું કામ કરશે.

ગીતા ફોગાટે કહ્યું કે, “જ્યારે તમે કોઈ મેરેથોન કે અન્ય સ્પોર્ટ્સમાં ભાગ લેવાની તૈયારી કરો છો ત્યારે તમને ફિટ રહેવું કેટલું જરૂરી છે તે સમજાય છે. અદાણી અમદાવાદ મેરેથોન જેવી ઈવેન્ટ્સમાં જ્યારે જુદી-જુદી વયના અને સારી ફિટનેસ ધરાવતા લોકો ભાગ લેતા હોય ત્યારે તેઓ અન્યોને સારા સ્વાસ્થ્ય અને લાઈફસ્ટાઈલ માટે આગળ વધવા પ્રેરિત કરે છે. આવી ઈવેન્ટ્સ સામાન્ય માણસો માટે ઘણી મહત્ત્વપૂર્ણ છે. એ પણ ત્યારે જ્યારે આ ઈવેન્ટથી થનારી આવકનો હિસ્સો સુરક્ષાદળોના વેલફેર માટે આપવામાં આવી રહ્યો છે, આવા હેતુથી લોકોનો ઉત્સાહ આવી ઈવેન્ટ્સમાં વધે છે. તમે માત્ર તમારું જ ભલું નથી કરી રહ્યાં પરંતુ અન્યોને પણ મદદરૂપ થઈ રહ્યાં છો.”

કોમનવેલ્થ ગેમ્સમાં રેસલિંગમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય ગીતા માને છે કે- રેસલિંગની રમત સામાન્ય લોકો માટે ઘણી મુશ્કેલ રહી શકે છે. જ્યારે તેની સામે દોડવું એ સરળ છે, જે દરેક વ્યક્તિ પોતાની ફિટનેસ અને લાઈફસ્ટાઈલમાં સુધાર કરવા માટે કરી શકે છે. ગીતાએ કહ્યું કે,”જેઓ રનર નથી તેમને એ વાત કહી શકું કે આ મુશ્કેલ કાર્ય નથી. હું એ કલ્પી શકું છું કે મારી રમત રેસલિંગ એ મુશ્કેલ છે, પરંતુ રનિંગ અને જોગિંગ એ કોઈપણ કરી શકે છે. એમાં કોઈ મુશ્કેલી નથી કે વ્યક્તિ કેટલું દોડે છે, પરંતુ માત્ર દોડવું એ સંપૂર્ણ શરીર માટે સારું વર્કઆઉટ રહી શકે છે. મારા મતે દરેકે આ બાબતને ગંભીરતાથી લેવી પડશે.”

ગીતાએ નવી દિલ્હી ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2010માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ભારતીય હોકી સ્ટાર રાની રામપાલના નેતૃત્વમાં ભારતીય ટીમે ટોક્યો ઓલિમ્પિક-2020માં ઐતિહાસિક ચોથું સ્થાન મેળવ્યું હતું. જેના કારણે સંપૂર્ણ દેશવાસીઓમાં અનોખો જુસ્સો જોવા મળ્યો હતો અને લોકો ભારતીય ટીમની દરેક મેચને ટીવી સામે અંતિમ ક્ષણ સુધી માણતા જોવા મળ્યા હતા.

અદાણી અમદાવાદ મેરેથોનની સાથે વાત કરતા રાની રામપાલે કહ્યું હતું કે, મેરેથોનમાં ભાગ લેવું એ સરળ નથી. પરંતુ સામાન્ય માણસને લાગે છે કે તે સારા એથ્લિટ્સ સાથે તેમાં ભાગ લઈ રહ્યો છે. સામાન્ય વ્યક્તિ વિચારે છે કે- તે

પણ અન્ય એથ્લિટ્સ જેમ સફળતા મેળવી શકે છે અને આ મુદ્દે વધુ આગળ વધી શકે છે. આના કારણે સામાન્ય વ્યક્તિ વધુ મહેનત કરવા પ્રેરિત થાય છે.”

આ સાથે હોકી સ્ટારે સુરક્ષાદળોની મદદે આગળ આવવા બદલ અદાણી અમદાવાદ મેરેથોનના આયોજકોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે,”જ્યારે તમે સુરક્ષાદળો માટે દોડતા હોવ અને તેમના વેલફેરમાં યોગદાન આપતા હોવ તો એ વાત નાગરિકો માટે ગર્વની વાત હોય છે. આવી ઘટના સુરક્ષાદળો અને લોકો વચ્ચેના જોડાણને વધુ મજબૂત બનાવે છે.