બનાસકાંઠામાં કાર-બાઇક વચ્ચે અકસ્માતઃ ચારનાં મોત

બનાસકાંઠાઃ જિલ્લામાં ગઈ કાલે મોડી રાત્રે થયેલા કાર-બાઇક વચ્ચે અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયાં છે. આ અકસ્માતમાં ઘટનાસ્થળે ત્રણ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા અને પોલીસને ફોન કર્યો હતો. તમામ મૃતદેહોને ભાભર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જિલ્લાના ભાભરના ખારા ગામના પાટિયા પાસે ગઈ કાલે મોડી રાતે પુરઝડપે જતી કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. બાઇક સાથે કાર અથડાયા બાદ ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે બાઇકના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારના બોનેટનો પણ ભુક્કો બોલી ગયો હતો.

આ અકસ્માતની પ્રાથમિક માહિતી પ્રમાણે ત્રણ3 મૃતકો ખારા ગામના પટેલ હતા, જ્યારે અન્ય એક મૃતક આકોલીનો રહેવાસી હતો. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં અકસ્માતની આ ત્રીજી ઘટના બની છે. આ અકસ્માતમાં કુલ  આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે.