ગુજરાતી રંગભૂમિના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનું હાર્ટએટેકથી નિધન થયું છે. તેઓ 80 વર્ષની વયના હતા. ગુજરાતી ફિલ્મોના વિલનની ભૂમિકામાં અભિનેતા અરવિંદ રાઠોડનો દબદબો હતો.  ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર અરવિંદ રાઠોડની આકસ્મિક વિદાયથી તેમના ચાહકો શોકનું મોજું ફરી વળ્યું છે.

તેમણે અંદાજે 250 થી વધુ ફિલ્મો, નાટકો અને કેટલીક ધારાવાહિકોમાં કામ કર્યું છે. તેમણે અનેક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અભિનેતા હિતુ કનોડિયાએ શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અરવિંદ રાઠોડ ખૂબ જ મોટા ગજાના અભિનેતા હતા, તેમની સાથે બાળ કલાકારથી લઈને મુખ્ય અભિનેતા સુધી મેં તેમની સાથે કામ કર્યું છે અને હંમેશાં તેની પાસેથી કંઈકને કંઈક શીખવા મળ્યું છે. 

અરવિંદ રાઠોડ સાથે દસ ફિલ્મોમાં સાથે કામ કરનાર અભિનેત્રી ભાવિની જાનીએ તેમના વિશે કહ્યું હતું કે અમે 10 ફિલ્મો સાથે કરી હતી. તેઓ બહુ જ ઉમદા કલાકાર હતા. તેમના નિધનથી ગુજરાતી ઈન્ડસ્ટ્રીઝને મોટી ખોટ પડી છે.

અરવિંદ રાઠોડે 70ના દાયકામાં એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. તેમણે ‘જ્હોની ઉસકા નામ’, ‘બદનામ ફરિશ્તે’, ‘મહાસતી સાવિત્રી’, ‘કોરા કાગઝ’, ‘ભાદર તારા વહેતા પાણી’, ‘સોન કંસારી’, ‘સલામ મેમસાબ’, ‘ગંગા સતી’, ‘મણિયારો’, ‘જાગ્યા ત્યારથી સવાર’, ‘મા ખોડલ તારો ખમકારો’, ‘મા તેરે આંગન નગારા બાજે’, ‘અગ્નિપથ’, ‘ખુદા ગવાહ’, ‘અબ તો આજા સાજન મેરે’ સહિત 250થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું. અરવિંદ રાઠોડે ટીવી સિરિયલ ‘થોડી ખુશી થોડા ગમ’માં પણ કામ કર્યું હતું. છેલ્લે તેઓ 2018માં ગુજરાતી ફિલ્મ ‘ટેન્શન થઈ ગયું’માં જોવા મળ્યા હતા.