ડોનેટ લાઇફે અંગદાન દ્વારા છ-વ્યક્તિઓને નવજીવન બક્ષ્યાં

સુરતઃ સુરતથી મુંબઈનું 3૦૦ કિલોમીટરનું અંતર ૯૨ મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ નવી મુંબઈના રહેવાસી ૩૦ વર્ષીય વ્યક્તિમાં સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. સુરતની એપલ હોસ્પિટલથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ સુધીનું ૨૭૪ કિલોમીટર રોડ માર્ગનું અંતર ૧૮૦ મિનિટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી ૪૭ વર્ષીય મહિલામાં અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી ૪૩ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તથા બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRC હોસ્પિટલમાં સુરતની ૧૭ વર્ષીય વિદ્યાર્થિનીમાં કરવામાં આવી રહ્યું છે.

હ્રદય, કિડની અને લિવર સમયસર મુંબઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા, જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

વિશા ઓસવાળ જૈન સમાજના દિનેશભાઈ મોહનલાલ છાજેડના પરિવારે તેમનાં હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

ડોનેટ લાઇફ તેમ જ સમગ્ર સમાજ સ્વ. દિનેશભાઈ મોહનલાલ છાજેડના પરિવારને તેમના આ પવિત્ર કાર્ય થકી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડવા માટે નતમસ્તક વંદન કરે છે.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઇફ દ્વારા ૩૮૬ કિડની, ૧૫૯ લિવર, ૮ પેન્ક્રિયાસ, ૩૩ હૃદય, ૧૪ ફેફસાં અને ૨૯૦ ચક્ષુઓ કુલ ૮૮૮ અંગો અને ટિસ્યુઓનું દાન મેળવીને ૮૧૬ વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે.