NCC દ્વારા સાયક્લોથોનનું આયોજનઃ સુરતની છ દીકરીઓ જોડાઈ

સુરતઃ આઝાદીના અમૃતકાળમાં NCC કેડેટસ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી સુધીની મેગા સાઇકલ રેલીનું આયોજન કરાયું છે. ગત આઠમી ડિસેમ્બરે કન્યાકુમારીમાં ડિરેક્ટર જનરલ નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા સાયક્લોથોનને ફ્લેગઓફ કરવામાં આવી હતી. જે દક્ષિણનાં રાજ્યોમાંથી પસાર થઈ આવતી કાલે સુરત આવી પહોંચશે.

સુરતમાં તેનું મેગા સાઇકલ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં NCC કેડેટસ, ઇન્ટરનેશનલ ટ્રાયથલીટ મિસ પૂજા ચૌરૂષી, હીરાઉદ્યોગકાર અને IDI (ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ)ના ચેરમેન દિનેશભાઈ નાવડિયા સહિત NCCના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. NCC વિદ્યાર્થીઓનું ઘડતર કરી વિકાસની દિશામાં પોતાનું યોગદાન આપે છે.

વિકાસ અને પરિવર્તનનો આ સંદેશ વિશ્વની સૌથી મોટી ગણવેશધારી યુવા સંસ્થા NCC દ્વારા યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં મહિલા શક્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. મેગા સાયક્લોથોનને મહિલાશક્તિ કા અભેદ સફર નામ આપવામાં આવ્યું છે. આ યાત્રામાં સુરતની છ દીકરીઓએ પણ ભાગ લીધો છે.

આ યાત્રા કન્યાકુમારીથી કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, દમણ-દીવ, ગુજરાત અને હરિયાણા થઈને આગામી ૨૮મી જાન્યુઆરીએ દિલ્હી પહોંચશે. જ્યાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રેલીને ફ્લેગઓફ કરાશે. કન્યાકુમારીથી શરૂ થયેલી મેગા સાયક્લોથોનની ૩૨ દિવસની લાંબી મુસાફરીમાં સાઇકલ સવાર દિવસની એવરેજ ૯૭ કિલોમીટર સાઇકલ ચલાવે છે. રેલી પૂર્ણ થતાં સાઇકલ સવાર કુલ ૩૨૩૨ કિલોમીટર સાઇકલ ચલાવી માર્ગમાં આવતા જનસમૂહમાં જાગ્રતતા સાથે દેશના વિકાસ અને વૃદ્ધિનો સંદેશો આપશે.