અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમથી ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા

અમદાવાદ: ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, ગુજરાતમાં ગત અઠવાડિયાથી કમોસમી વરસાદ ચાલુ છે, અને હવે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાવાની શક્યતા છે. આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. જો વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે, તો ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. જોકે, અન્ય દિશામાં ફંટાય તો પણ 22 મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે.

આજે અને આવતીકાલે (17-18 મે, 2025) અમરેલી, રાજકોટ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 20થી 24 મે દરમિયાન અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાઈ શકે છે, જેની અસર ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદના રૂપે જોવા મળશે. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા ઓછી છે.

દેશના અન્ય ભાગોમાં પણ હવામાનની અસર જોવા મળશે. ઉત્તર-પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે, જ્યારે દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વીજળી અને વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે.