કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરામાં આપેલાં વચનના પાલનનો સંકલ્પ   

અમદાવાદઃ રાજ્યમાં 21મી ફેબ્રુઆરીએ છ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે કોંગ્રેસે શપથ પત્ર તરીકે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ શપથ અનુસાર ચૂંટણી-ઢંઢેરાના મુદ્દાઓ સાથે પ્રજાની વચ્ચે જશે. કોંગ્રેસે કહ્યું હતું કે સત્તામાં આવતાં જ આ પત્રમાં લખવામાં આવેલા એક-એક શબ્દનું પાલન કરવામાં આવશે. તમામ શહેરીજનોને સરકારની ફ્રી સેવાઓ અને સુવિધાઓ માટે ગુજરાઇટ કાર્ડ આપવામાં આવશે.

સત્તામાં આવ્યાના 24 કલાકમાં કોંગ્રેસ દ્વારા કોન્ટ્રેક્ટપ્રથા નાબૂદીની શરૂઆત કરવામાં આવશે, તેમ જ કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યા પર ભરતીપ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પ્રદેશપ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે ભાજપની જેમ અમે ખોટા વાયદા નથી આપતા. અમે વચન નહિ, શપથ લઈને આવ્યા છીએ. ભાજપના શાસનમાં જે ખોટું થાય છે એને યોગ્ય કરવું એટલે ગુજરાઇટ છે. કોંગ્રેસ કોર્પોરેશનમાં સત્તામાં મફત શિક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર દૂર કરવાની શપથ લઈએ છીએ. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો આ કાર્ડના માધ્યમથી સુવિધાઓ અને યોજનાઓનો લાભ લઇ શકશે. બીજી તરફ, વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે મહાનગરોમાં ભાજપનું શાસન હોવા છતાં અનેક સમસ્યાઓ છે. નાગરિકો ટેક્સ ભરતા હોવા છતાં સમસ્યાનું સમાધાન થતું નથી.

કોંગ્રેસે ચૂંટણીઢંઢેરામાં કરેલા વાયદાઓ

  • તમામ શહેરીજનોને સરકારની ફ્રી સેવાઓ સુવિધાઓ સ્કીમ્સ માટે ગુજરાઇટ કાર્ડ આપવામાં આવશે.
  • કોન્ટ્રેક્ટના નામે યુવા વર્ગનું શોષણ થાય છે, એ માટે આઉટસોર્સિંગ નાબૂદ કરીશું.
  • ઘરવેરામાં 50 ટકા સુધીનો ઘટાડો કરીશું.
  • છ મહાનગરમાં તમામ સરકારી શાળામાં મોડલ સ્કૂલો બનાવવી અને ધો. 1થી જ અંગ્રેજી માધ્યમ શરૂ કરી અને મફત શિક્ષણ સુવિધાઓ શરૂ કરશે.
  • વરસાદી પાણીના નિકાલથી લોકોને જે નુકસાન થાય છે એ દૂર કરવા એક્સપર્ટની મદદ લઇ કામગીરી કરવામાં આવશે.
  • શહેરી વિસ્તારોમાં પાર્કિગની સમસ્યા છે. પાર્કિગના નામે ઉઘાડી લૂંટ ચાલે છે, જે દૂર કરવામાં આવશે અને ફ્રી પાર્કિગ કરવામાં આવશે.
  • વિદ્યાર્થીઓ અને શહેરીજનો માટે ફ્રી વાઇફાઇ ઝોન બનાવવામાં આવશે.
  • દરેકને ફ્રી પાણી મળે એવી સુવિધાઓ કરવામાં આવશે.
  • ગરીબ પરિવારને ઘરનું ઘર મળે એવો પ્રયાસ કરવામાં આવશે.
  • આધુનિક હોસ્પિટલ અને દરેક વોર્ડમાં તિરંગા ક્લિનિક બનાવવામાં આવશે.
  • કોરોના કાળમાં આર્થિક નુકસાની ભોગવી રહેલા ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત આપીશું.