મુખ્ય ચૂંટણી અધિકારીની ‘અવસર લોકશાહીની’ ઝુંબેશ

ગાંધીનગરઃ રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં મતદાનની ટકાવારી અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ‘અવસર લોકશાહીની’ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં ગઈ ચૂંટણીઓમાં પ્રમાણમાં જ્યાં ઓછું મતદાન થયું હતું તેવાં ૨૦૨૨ મતદાન મથકોને ધ્યાનમાં લઈને આ વિસ્તારોમાં નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ‘મિશન-૨૦૨૨’ હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ત્રીજી નવેમ્બરથી ૧૭ નવેમ્બર દરમિયાન ‘અવસર રથ’ ફરશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો કરશે.

મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી. ભારતીએ આજે ગાંધીનગર કલેકટર કચેરીથી ‘અવસર રથ’ને પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્ય, ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી.કે., મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીના રિન્કેશ પટેલ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. વલસાડ, સુરત, વડોદરા, પંચમહાલ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ કુલ ૧૧ ઝોનમાં ૧૧ ‘અવસર રથ’ ફરશે. ૧૭મી નવેમ્બર સુધી આ ‘અવસર રથ’ નિયત રૂટ ઉપર ફરીને મતદાન જાગૃતિનું કાર્ય કરશે.

‘અવસર લોકશાહીનો’ અંતર્ગત બૂથ લેવલ ઓફિસર કક્ષા સુધી ‘ચુનાવ પાઠશાલા’ની બેઠકો કરવામાં આવી છે. ૫૧,૭૮૨ મતદાન મથકોએ આવી બેઠકો કરવાનું આયોજન છે. બૂથ લેવલ અધિકારીઓ દ્વારા સ્થાનિક કક્ષાએ વોટસએપ ગ્રુપ બનાવીને, સ્થાનિક કક્ષાએ વોટસએપ ગ્રુપમાં જોડાઈ મતદાન અંગે જાગૃતિ લાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

મતદારોને મતદાન મથકે સુખદ અનુભવ થાય એ માટે તમામ મતદાન મથકે જરૂરી પ્રાથમિક સુવિધાઓ સહિત અન્ય સુવિધાઓ જેવી કે, પાર્કિંગ, પીવાનું પાણી, શૌચાલય, શેડ, વૃદ્ધો-અશક્તો-દિવ્યાંગો માટે મદદનીશ સહિતની વિશેષ સુવિધાઓ મતદાન મથકે ઉપલબ્ધ કરાવવામાં આવશે. શાળાઓ-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને આગામી ચૂંટણીમાં મતદાન કરવા અંગેના સંદેશા પાઠવવામાં આવ્યા છે. સોસાયટીના ચેરમેન, સંચાલકોને સોસાયટીના તમામ સભ્યો આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા પ્રેરણા આપે એ અંગે પત્ર લખીને અપીલ કરવામાં આવી છે. વર્તમાનની લોકપ્રિયતાને ધ્યાને રાખીને કેટલાંક સ્થળોએ ‘સેલ્ફી બુથ’ ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ઓનલાઇન ‘પ્લેજ કેમ્પેન’ જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમો યોજીને મતદારોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.