કોંગ્રેસને ફેંક્યા પડકાર, સરદારની ભૂમિ પર PMનો હુંકાર

લોકસભા ચૂંટણીના તીજા તબક્કાના મતદાનને પાંચ દિવસ બાકી છે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. જેમાં કુલ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)માં 94 બેઠક પર મતદાન થશે. જેમાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન થશે. જ્યારે એક બેઠક પર ભાજપને બિનબરીફ વિજય મળ્યો છે.

ભાજપ મતદારોનો રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે જાહેર સભાને સંબોધન કરી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી આજે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં જનસભા સંબોધશે.

આણંદમાં મોટી સંખ્યામાં જનમેદીને સંબોધન કરતા PM મોદી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ‘કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં ભારતની 60 ટકા ગ્રામીણ વસ્તી પાસે શૌચાલય નહોતું, 10 વર્ષમાં અમે બનાવ્યા. માત્ર ત્રણ કરોડ ગ્રામીણ ઘર સુધી જ નળથી પાણી પહોંચતુ, અમે 10 વર્ષમાં 14 કરોડ નળથી જળ પહોંચાડ્યું. દેશના લોકોએ 60 વર્ષ સુધી કોંગ્રસનું શાસન જોયું છે જ્યારે લોકોએ ભાજપના દસ વર્ષના સેવાકાળને પણ જોયું છે. પહેલા શાસનકાળ હતો, હવે સેવા કાળ છે.

PMના પડકાર

આ ઉપરાંત કોંગ્રેસ સામે પડકાર ફેકતા તેમણે કહ્યું કે “દેશને લેખિતમાં ગેરંટી આપે કે તેઓ સંવિધાન બદલીને ધર્મના આધાર પર મુસ્લિમોને આરક્ષણ નહીં આપે. SC, ST, OBC ને મળતા આરક્ષણમાં ફેરફાર નહીં કરે અને તેમના અધિકારી નહીં છીનવે. જે રાજ્યમાં કોંગ્રેસ કે સાથી પક્ષોની સરકાર છે તેઓ વોટ બેંકની રાજનીતિ નહિં કરે”.

PM મોદીએ પાકિસ્તાન પર કર્યો કટાક્ષ 

પાકિસ્તાનની વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ‘આતંકી એક્સપોર્ટ કરનાર અત્યારે લોટ માગવા તરસે છે.’ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે ‘પાકિસ્તાનના લોકો શહજાદાને PM બનાવવા માગે છે.

PM મોદીએ સરદાર સાહેબના આશીર્વાદ માગવા સાથે ચા વાળાએ અર્થવ્યવસ્થાને સુધારી હોવાની વાત કરતા કહ્યું કે ‘આ ગુજરાતી ચા વાળાએ દેશની અર્થવ્યવસ્થા 11માં નંબરથી પાંચમા સ્થાને પહોંચાડી. 140 કરોડ લોકોના સપના પુરા કરવા મને સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઇએ. આખા દેશમાંથી આશીર્વાદ મળે, પણ જ્યારે સરદારની ભૂમિ પરના આશીર્વાદ મળે ત્યારે ચાર ચાંદ લાગી જાય છે.’

નોંધનિય છે કે PM મોદી 2જી મેના રોજ ચાર જન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદમાં જન  સભાને સંબોધન કર્યા બાદ તેઓ સુરેન્દ્રનગરના વઢવાણા, જૂનાગઢ અને જામનગરમાં જન સભાને સંબોધન કરશે.