કોરોના સામે વળતી લડતઃ સંસ્કૃતિ સેન્ટર યોજિત ‘બાઉન્સિંગ બેક’ વેબિનાર

અમદાવાદઃ કોરોનાવાઈરસ મહામારીના આક્રમણ બાદ રાષ્ટ્રઘડતરની કામગીરીઓમાં અર્થતંત્ર, શિક્ષણ, રાજદ્વારી, કળાક્ષેત્ર અને પ્રચારમાધ્યમોની ભૂમિકા તથા ઊભી થયેલી અસર પર પ્રકાશ પાડવા માટે લંડનસ્થિત સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સિલન્સ અને ભારતીય વિદ્યા ભવન, લંડન દ્વારા એક રસપ્રદ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વેબિનારમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો અને વક્તાઓએ ભાગ લીધો હતો, જેમાં ભારતીય હાઈ કમિશનના ફર્સ્ટ સેક્રેટરી (ઈકોનોમિક એન્ડ પ્રેસ ઈન્ફોર્મેશન) રોહિત વધવાના, આસામ રાઈફલ્સના ભૂતપૂર્વ ડાયરેક્ટર-જનરલ લેફ્ટેનન્ટ જનરલ શોકિન ચૌહાણ, NCERT, ભારતનાં શિક્ષણશાસ્ત્રી પ્રો. જ્યોત્સના તિવારી, લંડનસ્થિત ભવન સંસ્થાના ડેવલપમેન્ટ મેનેજર પેટ્રિક હોલ્ડનનો સમાવેશ થાય છે.

રોહિત વધવાનાએ ભારતીય રિઝર્વ બેન્ક, બ્લૂમબર્ગ અને વિશ્વ બેન્ક દ્વારા અંદાજવામાં આવેલા ભારતના સંભવિત જીડીપી વિકાસદર વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

લેફ્ટેનન્ટ જનરલ ચૌહાણે ઈશાન ભારતમાં મહત્ત્વ તેમજ આંતરરાષ્ટ્રીય વ્યાપાર ક્ષેત્રમાં તેની અનુકૂળતા વિશે પોતાના વિચાર રજૂ કર્યા હતા, કારણ કે ઈશાન ભારતના રાજ્યો મ્યાનમાર, નેપાળ, ચીન, ભૂટાન અને બાંગ્લાદેશ સાથે સરહદો બનાવે છે.

પ્રો. જ્યોત્સના તિવારીએ આજે દેશમાં સમગ્ર દ્રષ્ટિકોણ અપનાવતી અને તંદુરસ્ત શિક્ષણ પદ્ધતિની આવશ્યક્તા છે.

પેટ્રિક હોલ્ડને કોરોના રોગચાળાને કારણે કળા ઉદ્યોગને પડેલા ફટકા અને કારીગરો તથા કળા સંસ્થાઓએ આ મુશ્કેલીનો કેવી રીતે સામનો કર્યો એની વાતો કરી હતી.