વિમાનમાં કબૂતર ઘૂસી ગયું; અમદાવાદ-જયપુર ફ્લાઈટ 30 મિનિટ મોડી પડી

અમદાવાદ: ગઈ કાલે અમદાવાદ એરપોર્ટ પર જયપુર જવા માટે તૈયાર ઊભેલા ગોએરના વિમાનમાં કબૂતર ઘૂસી ગયું હતું. આ વિચિત્ર ઘટનાને કારણે તે ફ્લાઈટ અડધો કલાક જેટલી મોડી પડી હતી.

કબૂતરને વિમાનની અંદર ઘૂસી આવેલું જોઈને અંદર બેઠેલા પ્રવાસીઓ ચોંકી ગયા હતા.

આખરે ગ્રાઉન્ડ સ્ટાફની મદદથી અને ઘણા પ્રયાસો બાદ કબૂતરને ફ્લાઈટમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. ત્યારપછી વિમાને જયપુર જવા માટે ટેકઓફ્ફ કર્યું હતું.

એ દરમિયાન ઘણા પ્રવાસીઓએ એમના મોબાઈલ ફોન દ્વારા તે ઘટનાનો વિડિયો ઉતાર્યો હતો, ફોટા પાડ્યા હતા અને સોશિયલ મિડિયા પર શેર કરતાં વાઈરલ થયા છે.

એ ઘટના શુક્રવારે સાંજે લગભગ 4.30 વાગ્યે બની હતી. વિમાનને એપ્રન પર લાવવામાં આવ્યું હતું. પ્રવાસીઓ વારાફરતી વિમાનમાં પ્રવેશ્યા હતા અને પોતપોતાની સીટ પર બેસી ગયા હતા. ફ્લાઈટના દરવાજાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ જ્યારે 4.50 વાગ્યાના નિર્ધારિત સમયે ફ્લાઈટ ઉપડવાની તૈયારી થઈ અને વિમાનને રનવે પર લાવવામાં આવનાર જ હતું કે એક પ્રવાસીએ પોતાની હેન્ડબેગ મૂકવા માટે લગેજ શેલ્ફ ખોલ્યું કે અંદરથી કબૂતર ઉડીને બહાર આવ્યું હતું. એ જોઈને તે પ્રવાસી તેમજ અન્ય પ્રવાસીઓ ડઘાઈ ગયા હતા.