નર્મદા યોજના માટે 1,131 કરોડની વધારાની કેન્દ્રીય સહાય મંજૂર

ગાંધીનગર– ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના માટે કેન્દ્ર સરકારે વધુ એક હિતકારી નિર્ણય કર્યો છે. સરદાર સરોવર નર્મદા યોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૧૧૩૧ કરોડની વધારાની સહાય મંજૂર કરી છે.નાયબ મુખ્‍યપ્રધાન નિતીન પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના સરદાર સરોવર પ્રોજેક્ટના કામો માટે AIBP અને CADWM યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ગુજરાતની ખેડૂત અને પ્રજાલક્ષી આ યોજનાને વધુ વેગ આપવા અને નાણાકીય રીતે મદદરૂપ થવા આ વર્ષે અગાઉ ભારત સરકારે રૂ.૯૭૦ કરોડની ગ્રાન્ટ ફાળવી હતી.

ગુજરાત સરકારની વિનંતીને ધ્યાનમાં લઇને હવે તા.૧૬ માર્ચ, ૨૦૧૮ના રોજ ભારત સરકારે વધુ નવી રૂ.૧૧૩૧ કરોડની માતબર રકમની નર્મદા યોજનાની કામગીરી માટે ફાળવી છે. જેથી નર્મદા યોજનાની કામગીરીમાં વધુ વેગ આવશે. રાજ્યના લાખો ખેડૂતોને સિંચાઇના પાણીની સુવિધા માટે અને કરોડો નાગરિકોના પીવાના પાણીની જરૂરીયાતને પૂર્ણ કરતી આ યોજના વર્ષ ૨૦૧૯ માં પૂર્ણ કરાશે. નર્મદા યોજનાના બધા જ કામો પૂર્ણ કરવામાં ભારત સરકાર દરેક રીતે મદદરૂપ થઇ રહી છે.