અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સ્વાસ્થ્યને લઈને ખોટી અફવા ફેલાવવા મામલે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે 4 લોકોની અટકાયત કરી છે. આ લોકોએ સોશિયલ મીડિયામાં અમિત શાહના સ્વાસ્થ્ય મામલે ખોટી અફવાઓ ફેલાવી હતી. હાલ તેઓ વિરુદ્ધ આઈટી એક્ટ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. 4 પૈકી 2 આરોપીઓ અમદાવાદના છે જ્યારે અન્ય બે આરોપીઓ ભાવનગરના છે.
અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના અજય તોમરે આજે આ મામલે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું કે, કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લઈ ટ્વીટર પર પોસ્ટ શેર કરવામાં આવી હતી. જે મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં ખોટી ઓળખ ઉભી કરી ખોટી માહિતી ફેલાવવા બદલ ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી. અને તેઓની પુછપરછ હાલ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના સ્વાસ્થ્ય અંગે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાઈ રહી છે. હવે ખુદ અમિત શાહે તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે. આની સાથે અફવાઓને અંત આવી ગયો છે. અમિત શાહે કહ્યું કે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમને કોઈ પણ પ્રકારનો રોગ નથી. આ સાથે અમિત શાહે કહ્યું કે, કોરોના વાયરસના રોગચાળાના આ સમયમાં મોડી રાત સુધી કામ કરવાને કારણે આ બધી અફવાઓ પર ધ્યાન આપ્યું ન હતું.
શાહે વધુમાં કહ્યું કે, ‘હું મારા શુભેચ્છકો અને પાર્ટીના તમામ કાર્યકરોને મારી સુખાકારી પૂછવા અને ચિંતા કરવા બદલ આભાર માનું છું. જે લોકોએ આ અફવાઓ ફેલાવી છે તે લોકો પ્રત્યે મારી પાસે કોઈ ઇચ્છાશક્તિ અથવા દ્વેષ નથી.
