યાત્રાધામ અંબાજીના તમામ રસ્તા ‘બોલ મારી અંબે જય જય અંબે’ના નાદથી ગુંજ્યા

ભક્તિ અને શક્તિના પ્રતિક સમા યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુરૂવારે બનાસકાંઠા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનના હસ્તે મહામેળાનો શુભારંભ કરાયો હતો. અંબાજી ખાતે દાંતા રોડ ઉપર માતાજીના રથની શાસ્ત્રોક્ત વિધિ સાથે રથને થોડેક સુધી દોરીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. મેળાનો શુભારંભ થતાની સાથે જ ‘બોલ મારી અંબે જય જય અંબે’ના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી. મેળાના પ્રથમ દિવસે આશરે 1.95 લાખ જેટલા માઈભક્તો ઉમટયા હતા અને જગત જનની મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ગુજરાતના સુપ્રસિદ્ધ લોકમેળા એટલે ભાદરવી પૂનમનો અંબાજી ધામમાં ભરાતો મેળો લાખોની સંખ્યામાં માઈભક્ત 51 શક્તિપીડમાના શક્તિ સ્વરૂપાના દર્શક કરી ધન્યતાનો અનુભવ કરતા હોય છે. ભાદરવી પૂનમ નિમિત્તે ભરાતા સાત દિવસીય મહામેળામાં લાખોની જનમેદની ઉમટી પડે છે. ભક્તિ, શક્તિ અને ઉપાસનાના સંગમ સમા આ મેળામાં આ વર્ષે આશરે ૩૦ લાખ જેટલા ભક્તો ઉમટવાના અંદાજ છે. વરસતા વરસાદ અને ડુંગરાળ વિસ્તારમાં મા અંબાના નાદ સાથે પદયાત્રા કરી આગળ ધપવાની પરંપરા આ મેળાની ખાસિયત છે. ત્યારે ગુરૂવાર અને ભાદરવા સુદ નોમના દિવસથી આ મહામેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠયા છે. ત્યારે કલેકટરે સિદ્ધહેમ સેવા કેમ્પ ખાતે મુલાકાત કરી સેવા કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ પદયાત્રીઓને ભોજન પીરસી મેળાની શુભકામનાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે મેળાના સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે. રસ્તામાં માઇભક્તોને કષ્ટ ના પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે મેળાના પ્રથમ દિવસે ગુરૂવારે આશરે 1.95 લાખ જેટલા માઈભક્તો અંબાજીમાં ઉમટયા હતા. મંદિર પરિરસમાં દર્શન માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાતાં ભક્તોએ સરળતાથી મા અંબાનાં દર્શન કર્યાં હતાં. ગુરૂવારે સવારે 9 અને 15 મિનિટે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ કરાયો હતો. અનેક પગપાળા સંઘોએ સવારથી જ માતાજીના શિખરે ધજાઓ ચઢાવવામાં આવી હતી. ભક્તોને મોહનથાળનો પ્રસાદ મળી રહે તે માટે પણ આયોજન કરાયું હતું.