અદાણી ગ્રુપ દ્વારા CNGના ભાવમાં રૂ. ત્રણનો વધારો

અમદાવાદ: રાજ્યમાં અદાણી ગ્રુપ દ્વારા CNGના ભાવમાં વધારો થયો છે. અદાણીએ તહેવારો ટાણે CNG ગેસમાં કિલોદીઠ રૂ. ત્રણનો વધારો કર્યો છે. છે. CNGનો નવો ભાવ રૂ. 89.90 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે, જે આજથી અમલી બનશે.

અદાણી દ્વારા 18 ઓગસ્ટે અદાણી CNGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારે સીએનજીનો ભાવ 83.90 થયો હતો. જે બાદ ફરીથી CNGમાં ભાવવધારો કરવામાં આવ્યો છે. આ વર્ષના પ્રારંભથી CNGના ભાવમાં અનુક્રમે જાન્યુઆરીમાં રૂ. 1.59, માર્ચમાં રૂ. ચાર, એપ્રિલમાં 6.45, 14 એપ્રિલે 2.58 અને 10 મેએ રૂ. 2.60 અને હાલ રૂ. ત્રણનો કિલોદીઠ વધારો કરવામાં આવ્યો છે.

વૈશ્વિક બજારમાં નેચરલ ગેસના ભાવમાં 40 ટકાનો તોતિંગ વધારો થયો છે. આ નેચરલ ગેસનો ઉપયોગ ઇલેક્ટ્રિસિટી પેદા કરવા, ખાતર બનાવવા અને એને વાહનો માટે CNG ગેસ પરિવર્તિત કરવામાં આવે છે. વિશ્વ બજારમાં એનર્જીના દરોમાં પણ વધારો થયો છે.

LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 36નો ઘટાડો

દેશમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ LPG ગેસની કિંમતોમાં ઘટાડો કર્યો છે. કંપનીઓએ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ. 25.5 રૂપિયાનો, કોલકાતામાં 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં રૂ. 36.5, મુંબઈમાં રૂ. 32.5 અને ચેન્નઇમાં રૂ. 35.5નો ઘટાડો કરવામાં આવ્યો હતો. ભાવઘટાડા પછી દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત રૂ. 1885 થઈ છે.

ગેસ કંપનીઓ પ્રતિ મહિને રાંધણગેસ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા દર જારી કરે છે.હોટેલ, રેસ્ટોરાં અને ખાણીપીણીની દુકાનોએ સામાન્ય રીતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે.