CMની હાજરીમાં અંગદાન માટે સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી

અમદાવાદઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવાના ભાગરૂપે ટ્રેડ ફેર “સમૃદ્ધિ23″નું આયોજન કરવામાં આવ્યું છે. આ વીમેન્સ ટ્રેડ ફેરનું ઉદઘાટન મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં ‘વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે’ના અનુસંધાનમાં મુખ્ય મંત્રીની ઉપસ્થિતિમાં હાજર રહેલા અતિથિઓએ અંગદાન કરવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

આ વર્ષે ટ્રેડ ફેર “સમૃદ્ધિ23″માં મહિલા ઉદ્યમીઓ દ્વારા લગભગ ૮૦થી ૧૦૦ સ્ટોલ્સ  ગોઠવવામાં આવ્યા છે, જેમાં ખાદી, ક્રાફ્ટ, ડેકોર, ગારમેન્ટ, ફૂડ અને રાખડી સહિત વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. આ પ્રસંગે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે અંગદાન મહાદાન છે, માહેશ્વરી સંગિની સંગઠન અને માહેશ્વરી સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલી અંગદાન માટેની આ પહેલનુ અમે સ્વાગત કરીએ છીએ. આવા સમાજોપયોગી કાર્યો માટે અમે શક્ય તમામ મદદ અને પ્રોત્સાહન આપવા તત્પર છીએ. માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા રચિત “માહેશ્વરી સંગિની સંગઠન” લગભગ છેલ્લાં દસ વર્ષથી સામાજિક, ધાર્મિક, અને મહિલા સશક્તીકરણ માટે કાર્ય કરતું એક જાગરુક સંગઠન છે.

“આઇકેડી”ના ડો. વિનિત મિશ્રાએ જણાવ્યું હતું કે એક વ્યક્તિના જુદાં-જુદાં ઓર્ગનના ડોનેશનથી આઠ વ્યક્તિઓનાં જીવન બચાવી શકાય છે. આ પ્રસંગે માહેશ્વરી સંગિની સંગઠનનાં પ્રમુખ જ્યોતિ લાહોટીએ જણાવ્યું હતું કે અંગદાન મહાદાન છે, જયારે મહિલાઓ અંગદાન માટે જાગરુક થાય છે, ત્યારે તેઓ તેમના પરિવારમાં પણ તે અંગેની જાગૃતિ લાવે છે. આજે માહેશ્વરી સંગિની સંગઠને આ દિશામાં એક મહત્વની પહેલ કરી છે.

આ ઉપરાંત “સમૃદ્ધિ23″માં આ વખતે આઝાદીનાં 75 વર્ષ અને અમૃત મહોત્સવ નિમિત્તે ખાદીને વિશેષ રીતે પ્રદર્શિત કરવામાં આવી છે. આ ઉપરાંત સિવિક રાઇટ્સ એન્ડ ડ્યુટીસ, હેલ્થ અવેરનેસ,  ફ્રી હેલ્થ ચેકઅપ અંગેના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.