અંતરિયાળ ગામોમાં યોગની પ્રત્યક્ષ તાલીમ

અમદાવાદ: 19 વર્ષની નિધિ બારોટ…. આ નામ નળકાંઠાના અંતરિયાળ ગામોમાં બીજી રીતે ગુંજે છે. આ ગામોમાં થોડા સમય પહેલા યોગ એટલે શું એ બહુ ઓછા લોકો જાણતા હતા પણ આજે આ ગામોનો પ્રત્યેક વ્યક્તિ નિધિને વ્યક્તિગત રીતે ઓળખે છે.

નિધિ બારોટ આમ તો ગામની ‘છોરી’ કહેવાય… ગામમાં જ ઉછરી છે…. નળકાંઠાના આંતરિયાળ ગામડાઓમાં પ્રાથમિક શાળાઓના ભુલકાઓને યોગ શીખવાડવા જાય છે. આમ તો નિધિએ અભ્યાસમાં લકુલિશ યોગ યુનિવર્સીટીની વિદ્યાર્થી છે પણ અભ્યાસ સાથે સાથે આ ગામડાઓમાં બાળકોને યોગની તાલીમ આપવાનું કાર્ય હાથ ધરેલ છે.

૨૧ જૂન…વિશ્વ યોગ દિન… રાજ્ય- દેશ સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે… આપણા શાસ્ત્રોમાં પણ યોગનો મહિમા વર્ણવાયો છે. ગામડા ગામમાં સામે ચાલીને જઈને બાળકોને યોગ શીખવાડવાનું બીડુ નિધિએ સ્વયં ઝડપ્યું છે.

માનવ સેર્વા ટ્રસ્ટના મનુભાઈ બારોટ કહે છે કે, ‘ માનવ સેવા ટ્રસ્ટ અને બૉસ ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ચાલતા સર્વગ્રાહી શિક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત નિધિ સાણંદ તાલુકાના અણિયારી, ઝાંપ, વનાળીયા, કુબા, કુંડલ, ગોવિંદા, ઉપરદલ,પાવા,મેલાસણા,રણમલગઢ,ખીચા,લેખમ્બા,શ્રીનગર,નાની કિશોલ,મોટી કિશોલ, કરનગઢ, લીલાપુર, જેવા ગામમોમાં પ્રાથમિક શાળાઓમાં યોગની પ્રાથમિક તાલીમ આપે છે. એટલું જ નહી પરંતુ આ સાથે નિધિએ અરવિંદ જેવી મોટી કંપનીઓના કર્મચારીઓને પણ યોગની તાલીમ આપી છે. પોતાના અભ્યાસ સાથે આટલી નાની ઉંમરમાં પણ લોકોને કંઈક આપવાની ભાવના બાળપણથી જ નિધિમાં જન્મી છે…