ગુજરાતના હવામાનમાં આજે એકાએક એવો પલટો આવ્યો કે જાણે ચોમાસું વહેલું બેસી ગયું હોય. અમદાવાદ શહેરમાં બપોરની આકરી ગરમી બાદ સાંજે અચાનક આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું. તેજ ગતિએ ફૂંકાયેલા પવન અને ધૂળની ડમરીઓને કારણે વિઝિબિલિટી એટલી ઓછી થઈ ગઈ કે વાહનચાલકો માટે રસ્તા પર ચાલવું મુશ્કેલ બન્યું હતું. ત્યારબાદ પડેલા વરસાદી ઝાપટાએ વાતાવરણમાં ઠંડક તો પ્રસરાવી, પરંતુ ઓફિસથી ઘરે જઈ રહેલા લોકો ટ્રાફિક જામમાં ફસાયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી થોડા દિવસો સુધી આ પ્રકારની મિશ્ર ઋતુનો અનુભવ થવાની શક્યતા છે.

યાત્રાધામ દ્વારકા અને પાવાગઢમાં પણ કુદરતનો અનોખો મિજાજ જોવા મળ્યો છે. દ્વારકા જગત મંદિરના સાનિધ્યમાં ભારે ગાજવીજ સાથે પડેલા વરસાદે રસ્તાઓને નદીઓમાં ફેરવી દીધા હતા. ભદ્રકાળી ચોક જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. બીજી તરફ, પંચમહાલના પાવાગઢ ડુંગર પર વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. પવનની ગતિ એટલી તેજ હતી કે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે વૃદ્ધો અને અશક્ત ભક્તોએ ભારે હૈયે પગપાળા દર્શન માટે જવું પડ્યું હતું.

સૌરાષ્ટ્રના રાજકોટ અને અમરેલીમાં પણ સ્થિતિ ગંભીર જોવા મળી છે. રાજકોટમાં ગાજવીજ સાથે પડેલા વરસાદ દરમિયાન આત્મીય યુનિવર્સિટી પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા પાર્ક કરેલા વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારો અને નાળામાં પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. અમરેલીના વડિયા પંથકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદે દેખા દીધી હતી, જ્યાં તેજ પવનને કારણે બજારના સાઈનબોર્ડ ઉડ્યા હતા અને ખેડૂતોના તૈયાર પાકને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જૂનાગઢના ભેસાણમાં તો બરફના કરા સાથે વરસાદ પડતા લોકોમાં આશ્ચર્ય સાથે ભય પણ જોવા મળ્યો હતો.

સરહદી જિલ્લા બનાસકાંઠા અને કચ્છમાં વાવાઝોડાએ આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. વાવ અને થરાદ પંથકમાં ફૂંકાયેલા તોફાની પવનને કારણે સોલર પ્લાન્ટની પ્લેટો હવામાં ફંગોળાઈ હતી, જેનાથી રોકાણકારોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. કંડલામાં એક વિશાળ મોબાઈલ ટાવર પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો હતો, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જામનગરમાં અનેક મકાનોના છાપરા ઉડવાની ઘટનાઓ બની છે, જ્યારે મોરબીના નવલખી બંદરે દરિયો તોફાની બનતા તંત્ર સાબદું થયું છે.

આ સંકટ સમયે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ખેડૂતોને કાપણી કરેલો પાક તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા અને એપીએમસીમાં રહેલો જથ્થો તાડપત્રીથી ઢાંકવા સૂચના અપાઈ છે. જંતુનાશક દવાઓનો છંટકાવ હાલ પૂરતો અટકાવવા પણ સલાહ આપવામાં આવી છે. તૈયાર થયેલા ધાણા, કલોંજી અને શાકભાજીના પાક પર માવઠાની માઠી અસર થવાની શક્યતાને પગલે જગતનો તાત ચિંતિત છે. સરકારે કોઈપણ સહાય કે માર્ગદર્શન માટે કિસાન કોલ સેન્ટરનો નંબર પણ જાહેર કર્યો છે.


