હીરાનગરી સુરતમાં આજે કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણનો મિજાજ પલટાયો હતો અને જોતજોતામાં મિની વાવાઝોડાએ શહેરને બાનમાં લીધું હતું. આ તેજ પવન માત્ર ધૂળની ડમરીઓ જ નહીં, પરંતુ મોતનો પયગામ લઈને આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ શાયોના પ્લાઝા પાસે જ્યારે લોકો પોતાની દિનચર્યામાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક ફૂંકાયેલા પવનના ઝાપટાએ સુરત મહાનગરપાલિકાના એક વિશાળ લોખંડના હોર્ડિંગ્સને જમીનદોસ્ત કરી દીધું હતું. કમનસીબે, આ ભારેખમ બોર્ડ ત્યાં જ ટેબલ લગાવીને ગુજરાન ચલાવતા ૪૮ વર્ષીય નીતિનભાઈ જયંતિભાઈ વાજા પર ખાબક્યું હતું. લોખંડના એંગલો અને પતરાના વજન નીચે દબાઈ જવાને કારણે નીતિનભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૂળ રાજકોટના વતની અને સુરતમાં રહી પરિવારનો આધાર બનેલા આ શ્રમિકના મોતના સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
વાવાઝોડાની આ ભયાનકતા માત્ર એક વિસ્તાર પૂરતી સીમિત નહોતી. શહેરના નાનપુરા, ઉમરા અને પીપલોદ જેવા પોશ વિસ્તારોમાં પણ કુદરતે તાંડવ મચાવ્યું હતું. નાનપુરામાં એક તોતિંગ વૃક્ષ કાર પર પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જોકે સદનસીબે કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો. ઉમરા ગામમાં મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતા કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાયો હતો અને પોલીસને રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. સિંગણપોરની ભરચક શાક માર્કેટમાં પણ અચાનક વૃક્ષ પડતા ગ્રાહકો અને વેપારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે આકાશમાંથી લોખંડના પતરા ઉડતા જોવા મળ્યા હતા, જેના કારણે રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.
મિલકતોના નુકસાનની વાત કરીએ તો, કતારગામ અને ડભોલી વિસ્તારમાં રૌદ્ર દ્રશ્યો જોવા મળ્યા હતા. અશોકવાટિકા પાસે આવેલા એક કોમર્શિયલ શોપિંગ સેન્ટરના ત્રીજા માળેથી આખેઆખો પતરાનો શેડ કાગળની જેમ ઉડીને નીચે રસ્તા પર પડ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જે જોઈને કોઈ પણના રુવાડા ઉભા થઈ જાય તેમ છે. પૂણા વિસ્તારમાં પણ લોખંડના પોલ નમી પડવાની અને હોર્ડિંગ્સ ફાટી જવાની અનેક ફરિયાદો પાલિકાના કંટ્રોલ રૂમમાં નોંધાઈ છે. આ મિની વાવાઝોડાએ સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને જોખમી હોર્ડિંગ્સ ઉતારવાની વાતો પર સવાલો ઉભા કર્યા છે.
હાલમાં સુરત મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડની ટીમો યુદ્ધના ધોરણે રસ્તાઓ સાફ કરવાની અને જોખમી લટકતા પતરાઓને ઉતારવાની કામગીરી કરી રહી છે. મૃતક નીતિનભાઈના દેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી સમયમાં પવન ફૂંકાવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને ખાસ કરીને હોર્ડિંગ્સ કે જૂના વૃક્ષો નીચે ઉભા ન રહેવા કડક સૂચના આપવામાં આવી છે.




