ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા મુંબઈમાં ‘સાહિત્યગોષ્ઠિ’ નું આયોજન

મુંબઈ: ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત મુંબઈમાં પણ સમયાંતરે સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરે છે. આ અનુસંધાને 1લી સપ્ટેમ્બરના રોજ વિલે પાર્લેમાં ‘સાહિત્યગોષ્ઠિ’નો કાર્યક્રમ યોજવામાં આવશે.

સ્નેહલ મુઝુમદાર અને ભાગ્યેશ જહા

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત મુંબઈમાં પણ સમયાંતરે સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતી ભાષા અને સાહિત્યના સર્જકો, કવિઓ તથા સાહિત્યરસિકોને એક મંચ પર લાવી વિચારવિમર્શ અને સંવાદ માટેનું વાતાવરણ ઊભું કરવાના હેતુથી અકાદમી દ્વારા વિવિધ સાહિત્યિક ઉપક્રમો હાથ ધરવામાં આવે છે. ‘મુંબઈ સાહિત્યોત્સવ’ જેવા બે-ત્રણ દિવસીય ભવ્ય સાહિત્યિક કાર્યક્રમો ઉપરાંત સાહિત્યકારો વચ્ચે સીધો સંવાદ અને વિચારવિમર્શ થાય તેવી નાની પરંતુ અર્થસભર બેઠકોનું પણ આયોજન કરવામાં આવે છે.

આ જ ઉપક્રમના ભાગરૂપે ગુજરાત સાહિત્ય અકાદમી અને કલાગુર્જરીના સંયુક્ત ઉપક્રમે 1 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યે મુંબઈમાં ‘સાહિત્યગોષ્ઠિ’નું આયોજન કરવામાં આવ્યું છે. વિલે પાર્લે વેસ્ટ સ્થિત કલાગુર્જરી ખાતે યોજાનારી આ ગોષ્ઠિમાં ગુજરાતી સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં સક્રિય સર્જકો અને સાહિત્યકારો એકત્રિત થશે.

કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા તથા સ્નેહલ મુઝુમદાર વિશેષ ઉપસ્થિત રહેશે. તેમની ઉપસ્થિતિ ઉપરાંત કવિઓ અને સાહિત્યકારો વચ્ચે થનારો સંવાદ આ ગોષ્ઠિનું મુખ્ય આકર્ષણ રહેશે.

આ સાહિત્યગોષ્ઠિમાં કવિ સંજય પંડ્યા, હિમાંશુ જોશી, હિતેન આનંદપરા, જતીન બારોટ, ચેતન ફ્રેમવાલા, ડૉ. ભૂમા વશી, રક્ષા શાહ અને અંકિતા મારુ ભાગ લેશે. વિવિધ સાહિત્યિક અનુભવો અને સર્જનાત્મક દૃષ્ટિકોણ ધરાવતા આ સર્જકોની ઉપસ્થિતિથી ગોષ્ઠિમાં કવિતા, સાહિત્ય અને સર્જન અંગે વિચારવિમર્શનો અવકાશ ઊભો થશે.

મુંબઈમાં વસતા ગુજરાતી સાહિત્યપ્રેમીઓ માટે પણ આ કાર્યક્રમ પોતાના સર્જકોને સાંભળવા અને સાહિત્યિક સંવાદનો હિસ્સો બનવાની તક પૂરી પાડશે. દરેક સાહિત્યપ્રેમી અને કલારસીકો આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.