મહિસાગરમાં ગમખ્વાર અકસ્માત, 8 લોકોના મોત, અનેક ઘાયલ

મહિસાગરના લુણાવાડામા ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં જાનૈયાઓને લઈને જતા એક ટેમ્પોનો અકસ્માત થતા 8 જેટલા જાનૈયાઓના મોત નિપજ્યા છે. જ્યારે 22 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

લગ્નની જાન લઈને જતા ટેમ્પોને નડ્યો અકસ્માત

મહિસાગરમાં જાનૈયાઓને લઇ જતા ટેમ્પાનો અકસ્માત સર્જાતા ખુશીનો પ્રસંગ ગમમાં ફેરવાઇ ગયો હતો. જાણકારી મુજબ આ ટેમ્પો જાનૈયાઓને લઈને ગઠાથી સાત તળાવ જઈ રહ્યો હતો. ત્યારે લુણાવાડા નજીક ટેમ્પો રોડની એક તરફના ખાડામાં ખાબક્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 8ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 22 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

ઈજાગ્રસ્તોને લુણાવાડા હોસ્પિટલ ખસેડાયા

લુણાવાડા નજીક જાનને ગંભીર અકસ્માત નડ્યો હતો. જાન લઇને લગ્નમાં જતો ટેમ્પો ખાઈમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી, અકસ્માતમાં 22 લોકોને ઈજા થતા તેમને તાત્કાલિક લુણાવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પોલીસે શરુ કરી કાર્યવાહી

આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.