ત્રિશલાનંદન ભગવાન મહાવીર સ્વામીનો આજે જન્મ કલ્યાણક મહોત્સવ

અમદાવાદ: પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના પાંચમાં દિવસે એટલે કે 4 સપ્ટેમ્બર, બુધવારના રોજ મહાવીર સ્વામી જન્મ વાંચનની ઉજવણી થઈ રહી છે. જન્મ કલ્યાણક બાદ ભગવાનને પારણું ઝુલાવવામાં આવે છે. આજે દેરાસરોમાં ભગવાનને ખાસ આંગી પણ કરવામાં આવી છે. આજે પર્યુષણના પાંચમાં દિવસે ભગવાનન મહાવીરના જન્મકલ્યાણનું વાંચન ઉપાશ્રયોમાં પણ થઈ રહ્યું છે. જેમાં મહારાજસાહેબ દ્રારા આ વાંચન કરવામાં આવે છે. ઘણા સંઘોમાં સવારે તો ઘણા સંઘોમાં બપોરના સમયે ભગવાન મહાવીરના જન્મકલ્યાણનું વાંચન કરવામાં આવે છે. પહેલા મહારાજ સાહેબ દ્રારા મહાવીર ભગવાનના જન્મ સમયે કેવો માહોલ હતો અને કેવી સ્થિતિ હતી તે સમયની વાતનું વાંચન કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાનનો જન્મ થાય અને પુરુષો દ્રારા શ્રીફળ ફોડવામા આવે છે. પછી ભગવાન મહાવીરનું પારણું ઝુલાવવામાં આવે છે.જૈન ધર્મની સાધનામાં ચાતુર્માસને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ ચાર મહિનામાં મુનિજન એક જ જગ્યાએ રહીને ધર્મરાધના અને તપ કરે છે. આ દરમિયાન સંકલ્પનો અવસર પર્યુષણ પર્વ પણ ઊજવવામાં આવે છે. તેને પર્વરાજ કહેવામાં આવે છે. આ પર્વથી નવી ચેતના અને સ્ફૂર્તિનો સંચાર થાય છે.પર્યુષણના આઠ દિવસ દરમિયાન જૈન સમાજના લોકો દ્રારા અલગ-અલગ આરાધના કરવામાં આવે છે. કોઈક 30 ઉપવાસ, 16 ઉપવાસ, 8 ઉપવાસ તેમજ અલગ-અલગ તપ કરીને આરાધના કરતા હોય છે.