‘દરેક ભારતીય નાગરિકે ‘વેક્સિન વોર’ ફિલ્મ જોવી જોઈએ’: પીએમ મોદી

જોધપુરઃ ગયા મહિને રિલીઝ કરવામાં આવેલી હિન્દી ફિલ્મ ‘ધ વેક્સિન વોર’ની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ પ્રશંસા કરી છે. કોરોનાવાઈરસ-વિરોધી રસી બનાવવામાં ભારતના તબીબી વિજ્ઞાનીઓને કરવા પડેલા સંઘર્ષને દર્શાવતી આ ફિલ્મ બનાવવા બદલ વડા પ્રધાને દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી તથા અન્યોની સરાહના કરી છે. વડા પ્રધાન મોદીએ જોધપુુરમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે આ ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે દરેક ભારતીય નાગરિકે આ ફિલ્મ જોવી જોઈએ.

‘વેક્સિન વોર’ ફિલ્મ ગઈ 28 સપ્ટેમ્બરે દેશભરમાં રિલીઝ કરવામાં આવી હતી. આ તબીબી વિજ્ઞાન પર આધારિત ફિલ્મમાં કોરોનાવાઈરસ મહાબીમારી ભારતમાં ફેલાયા બાદ રોગચાળાની સામે રક્ષણ આપતી રસી કોવેક્સિનનું નિર્માણ કરવામાં ભારતીય વિજ્ઞાનીઓને પડેલી તકલીફો અને એમની સામે આવેલા પડકારોની જાણકારી આપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સંસ્થામાં જે સંઘર્ષ કરવો પડ્યો હતો તેની ગાથા આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. ‘ઈન્ડિયા ફોર હ્યુમેનિટી ટુર’ સંસ્થાના ઉપક્રમે અમેરિકામાં પણ આ ફિલ્મના ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.